Gujarat

સુરતના ગોપીપુરાના આદિશ્વર જીનાલયમાંથી 400 વર્ષ જુના પૂજાના યંત્રોની ચોરી

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
સુરતના ગોપીપુરાના આદિશ્વર જીનાલયમાંથી 400 વર્ષ જુના પૂજાના યંત્રોની ચોરી



- મેઇન દરવાજાના તાળા તોડી ચોર અંદર પ્રવેશ્યોઃ અમરોલીના આસ્થા ક્લિનીક અને વર્ધમાન સુપર સ્ટોરને પણ નિશાન બનાવ્યા

સુરત
સુરતના ગોપીપુરાના આદિશ્વર જીનાલયમાંથી 400 વર્ષ જુના પૂજાના યંત્રો ઉપરાંત અમરોલી-છાપરાભાઠા રોડના આસ્થા ક્લિનીક અને વર્ધમાન સુપર સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
શહેરના ગોપીપુરાના માળી ફળીયામાં આવેલા આદિશ્વર જીનાલયમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ જીનાલયના મેઇન દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી ભગવાનના ગળામાં પહેરાવેલી ચાંદીની કંઠી (માળા) રૂ. 3 હજાર, અંદાજે 400 ગ્રામ વજનનો ચાંદીનો મુગટ રૂ. 20 હજાર, દાનપેટીમાંથી રોકડા રૂ. 4 હજાર અને અંદાજે 400 વર્ષ જુના પૂજા માટેના સાત યંત્રો મળી કુલ રૂ. 27 હજારની મત્તા ચોરીને ભાગી ગયા હતા. ચોરીની જાણ આજે સવારે થતા મંદિરના ટ્રસ્ટી એવા હીરા વેપારી પુરવ સતીષ ઝવેરી (ઉ.વ. 48 રહે. ઘર નં. 8/1556, કાયસ્થ મહોલ્લો, સુભાષ ચોક, ગોપીપુરા) સહિતના ટ્રસ્ટીઓ દોડી આવ્યા હતા અને અઠવાલાઇન્સ પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. જયારે અમરોલી-છાપરાભાઠા રોડના મિતુલ એપાર્ટમેન્ટમાં આસ્થા ક્લિનીકને નિશાન બનાવી કાઉન્ટરમાંથી રૂ. હજારની મત્તા ચોરીને ભાગી જતા ડો. સાગર બાલુભાઇ કાછડીયા (ઉ.વ. 39 રહે. 188, વૈકુંઠધામ સોસાયટી, કતારગામ) અને ચિરાગ શોપીંગ સેન્ટરમાં વર્ધમાન સુપર સ્ટોરના પણ તાળા તોડયા હતા. પરંતુ તસ્કરો એક પણ વસ્તુની ચોરી કર્યા વિના ભાગી ગયા હતા.