Gujarat

બાજવાડામાં સીએના ઘરને નિશાન બનાવી રોકડ અને દાગીનાની ચોરી

By GS Team
22 Sep 20221 min read
This article was originally published on 22 Sep 2022
બાજવાડામાં સીએના ઘરને નિશાન બનાવી રોકડ અને દાગીનાની ચોરી

વડોદરા, શહેરના ચાર દરવાજા વિસ્તારમાં બાજવાડામાં ત્રાટકેલા ચોરો સીએના બંધ ઘરના દરવાજા પર મારેલી સ્ટોપરનો નકુચો તોડી કબાટોમાં મૂકેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃા.૩.૮૧ લાખની મત્તા ચોરી કરી ગયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે બાજવાડામાં શેઠ શેરીમાં રહેતા જયંતિભાઇ રમણભાઇ અત્તરવાલા સીએની પ્રક્ટિસ કરે છે. તા.૧૬ના રોજ તેઓ બપોરે ઘર બંધ કરી પત્ની સાથે ગોત્રી ખાતે રહેતા પુત્રના ઘેર રહેવા માટે ગયા હતા અને તા.૧૮ના રોજ  બાજવાડામાં તેમના પાડોશી અલકાબેનનો જયંતિભાઇના પત્ની મંજુલાબેન પર ફોન આવ્યો હતો કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે, કોઇ આવ્યું છે કે કેમ ? જેથી મંજુલાબેને કોઇ આવ્યું નથી તમે જાળીને તમારું લોક મારી દો અમે ઘેર આવીએ છીએ તેમ કહ્યું હતું. થોડા સમય બાદ જયંતિભાઇ તેમના પત્ની સાથે ઘેર પહોંચ્યા ત્યારે આગળની રૃમના કબાટોનો સામાન વેરવિખેર હતો તેમજ બીજા રુમમાં મૂકેલા કબાટમાંથી રૃા.૮૦ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા.૩.૮૧ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જણાયું  હતું. આ અંગે જયંતિભાઇએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.