Gujarat

સિકયુરીટી ગાર્ડના ઉપયોગ પર અંકુશ લાગશે અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓને બાઉન્સર રાખવા મંજુરી લેવી પડશે

By GS Team
21 Mar 20221 min read
This article was originally published on 21 Mar 2022
સિકયુરીટી ગાર્ડના ઉપયોગ પર અંકુશ લાગશે અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓને બાઉન્સર રાખવા મંજુરી લેવી પડશે

  અમદાવાદ.રવિવાર,20 માર્ચ,2022

અમદાવાદ મ્યુનિ.ની મુખ્ય કચેરી સહિતની અન્ય કચેરીઓમાં સિકયુરીટી ગાર્ડ ઉપરાંત બાઉન્સરના સુરક્ષાના હેતુથી કરવામાં આવતા ઉપયોગ ઉપર અંકુશ મુકવા મ્યુનિ.કમિશનરે નિર્ણય કર્યો છે.હવેથી સિકયુરીટી ગાર્ડ કે બાઉન્સર રાખવા પહેલા આ અંગેનું વ્યાજબી કારણ બતાવી કમિશનરની મંજુરી લેવી પડશે.

મ્યુનિ.ની વિવિધ કચેરીઓમાં શહેરીજનો પોતાના પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે પહોંચતા હોય છે.એક સમયે દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં શહેરીજનો મોટી સંખ્યામાં ફરિયાદના નિકાલ માટે આવતા હતા.આજે આ પરિસ્થિતિ જુદા જુદા ઝોનની કચેરીઓ થતા રહી નથી.આમ છતાં મુખ્ય કચેરી સહિતની અન્ય કચેરીઓમાં સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સરો તહેનાત કરાય છે.આ બાબતને લઈ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે ગત બોર્ડ બેઠકમાં મ્યુનિ.કમિશનર સમક્ષ  રજુઆત કરતા કહ્યુ હતુ કે,લોકો પોતાની ફરિયાદના નિકાલ માટે આવતા હોય છે આ પરિસ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં સિકયુરીટી ગાર્ડ અને બાઉન્સર કોના માટે રાખવામાં આવે છે? શું લોકોને બીવડાવવા માટે રાખવામાં આવે છે?

કમિશનર લોચન સેહરાએ મ્યુનિ.ના તમામ વિભાગના ઉપરી અધિકારીઓને હવે પછી જે તે વિભાગને સિકયુરીટી ગાર્ડ, ગનમેન કે સશકત સિકયુરીટી ગાર્ડ એટલે કે બાઉન્સરની જરુર હોય તો તેમણે આ અંગે પહેલા કયા કારણથી જરૃર છે એ કારણ દર્શાવી મ્યુનિ.કમિશનરની મંજુરી મેળવ્યા બાદ મેળવવામાં આવેલી મંજુરીની જાણ સેન્ટ્રલ ઓફિસને કરવાની રહેશે ત્યારબાદ જ સિકયુરીટી વ્યવસ્થા ગોઠવવામાં આવશે એવો આદેશ કર્યો છે.