વડોદરા શહેરમાં વર્ષોથી કોઈ સુધારા વિના પડી રહેલા ટ્રાફિક સર્કલ રી ડેવલપ કરાશે

- 26મીએ આઝાદીની થીમ આધારિત સર્કલ શણગારાશે અને રોશની કરાશે
વડોદરા, તા. 20
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તારમાં ચાર રસ્તા પરના આશરે 99 સર્કલ ખાનગી સંસ્થાઓ ,કંપનીઓ ,સ્વેચ્છિક સંગઠનો, શાળાઓ વગેરેને ડેવલપ કરવા માટે આપ્યા છે .આ તમામ દાતાઓ સાથે કોર્પોરેશનમાં આજરોજ સ્થાયી સમિતિમાં અધ્યક્ષ અને અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં વર્ષોથી કોઈપણ જાતનું સુધારો કર્યા વિના કે ડેવલપ કર્યા વગર પડી રહેલા આ સર્કલોનો પુનઃવિકાસ કરવા અને નવેસરથી સજાવટ કરવા કહ્યું છે .અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે 26મી જાન્યુઆરીએ આઝાદીની થીમ આધારિત સર્કલ શણગારવા અને રોશની કરવાનું પણ સૂચવ્યું છે. બીજું સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે આ સર્કલો ને ચોખ્ખા કરવા, સફાઈ કરવા, રેલિંગ ને રંગ કામ કરવા ,રાત્રે અંધારામાં રેલિંગ સાથે કોઈ અથડાઈ ન જાય તે માટે રેડિયમ પટ્ટી લગાડવા, ભાંગી ગયું હોય ત્યાં રીપેરીંગ કામ કરવા પણ કહ્યું છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે વર્ષોથી સર્કલો એની એ જ સ્થિતિમાં પડયા છે, તેમાં હવે કંઇક બદલાવ લાવવો જોઈએ. સર્કલ દત્તક લેનાર સંસ્થાએ દર વર્ષે તારીખ ૧ મેના રોજ મોડામાં મોડા તેના હોદ્દેદારો અથવા તો સરનામું વગેરે કંઈ બદલાયું હોય તો તેની યાદી પહોંચતી કરવા પણ સૂચન કરાયું છે.




