- સિનિયર સિટીઝનોને અવરજવરમાં મુશ્કેલી
- ભંગાર રોડ મામલે પાલિકાને વારંવાર રજબઆતો છતાં પણ ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી
કપડવંજ : કપડવંજમાં ટાઉનહોલથી રત્નાગીરી સુધીનો રોડ અંદાજે દોઢ વર્ષથી બિસ્માર હોવાથી લોકો હાલાકીમાં મૂકાયા છે. આ બિસ્માર માર્ગ મામલે પાલિકાને વારંવાર રજૂઆતો છતાં પણ ઉકેલ નહીં આવતા આંદોલનની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી છે.
કપડવંજ પાલિકાના વોર્ડ નં. ૬ સૌથી વધુ સોસાયટી ધરાવતો વિસ્તાર છે. જેમાં ટાઉનહોલથી રત્નાગીરી રોડ ભંગાર હાલતમાં છે. વાહન ચાલકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર બન્યાં છે.આ રોડ પર વારંવાર પાણીની લાઇન પણ લીકેજ થાય છે. જેના કારણે રોડ પર પાણી રેલાતા રાહદારીઓ અને સિનિયર સિટીઝનને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. આ મામલે પાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ પણ આવ્યું જ નથી. આ બાબતે પૂર્વ સદસ્યે લોકોની સમસ્યા પાલિકાએ નજરઅંદાજ કરતા રાજીનામુ પણ આપી દીધું હતું. આ રોડ પર દોઢ વર્ષથી ખોદકામ ચાલી રહ્યું છે. જેના કારણે મુશ્કેલી ઉભી થઇ છે. આ રોડ પર દવાખાનું, મંદિર, મોલ, પોલીસ સ્ટેસન, શાળાઓ સહિત આવેલું હોવા છતાં સમસ્યા અધ્ધરતાલ રહી છે.


