Gujarat

અમદાવાદ પર કોરોનાનો ખતરો વધ્યો, કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ

By GS Team
23 Jul 20202 mins read
This article was originally published on 23 Jul 2020
અમદાવાદ પર કોરોનાનો ખતરો વધ્યો, કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ

ગુજરાતમાં ટેસ્ટનું પ્રમાણ ઓછુ : કોરોનાને નાથવા નવુ મોડેલ બનાવવું પડશે : AMAના પ્રમુખનો દાવો

અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર

અમદાવાદ શહેરમાં કોરોના અંકુશમાં આવ્યો છે.હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે તેવુ અમદાવાદીઓ માની રહ્યાં છે પણ એવુ નથી. વાસ્તવમાં શહેરમાં ધાર્યા કરતાં ગંભીર પરિસિૃથતી બની રહી છે.

હવે શહેરના પૂર્વ વિસ્તારની સરખામણીમાં પશ્ચિમ વિસ્તારમાં કેસોનું પ્રમાણ વધી રહ્યુ છે.અમદાવાદ મેડિકલ એસોસિએશનનો દાવો છેકે,અમદાવાદમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે. નિષ્ણાતોનું માનવું છેકે, માસ્ક અને સોશિયલ ડિસટન્સ પ્રત્યેની બેદરકારી અમદાવાદીઓને ભારે પડી શકે છે. 

ગુજરાતમાં આજે રોજ એક હજારથી વધુ કોરોનાના કેસો નોધાઇ રહ્યાં છે.હાલમાં સુરત કોરોનાનુ એપી સેન્ટર બન્યુ છે પણ અમદાવાદમાં ય કોરોના કાબુમાં આવ્યો નથી. અમદાવાદમાં આજેય હોસ્પિટલોમાં દર્દીઓથી બેડ ભરાયેલાં છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો.મોના દેસાઇનું કહેવું છેકે, અમદાવાદમાં કોરોનાનો ખતરો વધ્યો છે કેમકે, કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે. એક જ ઘરના બધાય પરિવાર કોરોનાગ્રસ્ત બની રહ્યાં છે.

કોરોના સંક્રમિત લોકો જ સુપરસ્પ્રેડર બની રહ્યાં છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં ટેસ્ટનુ પ્રમાણ ઓછુ છે પરિણામે જો કોરોનાને અંકુશમાં લેવો હોય તો ટેસ્ટનું પ્રમાણ વધારવુ જ જોઇએ. એટલું જ નહીં, કોરોનાને કાબુમાં લેવા રાજ્ય સરકારે નવું મોડેલ બનાવવું પડશે.

આ તરફ, અમદાવાદમાં પૂર્વમાં કેસોનું પ્રમાણ ઘટયું છે જયારે પશ્ચિમમાં કેસોનું પ્રમાણ વધ્યુ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં ય કેસો વધી રહ્યાં છે જે ચિંતાજનક છે તેવો ઉલ્લેખ કરતાં સિવિલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડો.એમ.એમ.પ્રભાકર કહે છેકે,કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે તે વાત સાચી છે.

પણ સારા સમાચાર એ છેકે,અમદાવાદ શહેરના મધ્ય-પૂર્વ વિસ્તારમાં કેસો ઘટયાં છે.1200 બેડની મેડીસીટીમાં આજે માત્ર 325 જ દર્દીઓ છે. જોકે, અમદાવાદમાં હજુય લોકો કોરોનાને હળવાશથી લઇ રહ્યાં છે જેના કારણે લોકો માસ્ક તો પહેરતા નથી સાથે સાથે સોશિયલ ડિસટન્સના નિયમોનુ ય પાલન કરતાં નથી.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડો.ભરત ગઢવીનું કહેવુ છેકે, અમદાવાદીઓને માસ્ક અને સોશિયલ ડિસટન્સની બેદરકારી ભારે પડી શકે છે. હજુ જયારે વેકસીન આવી નથી ત્યારે માસ્ક અને સોશિયલ ડિસટન્સનું પાલન કરવું એ એક માત્ર હિથયાર છે.

આજે અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ફાર્મ હાઉસમાં પાર્ટીઓ થઇ રહી છે જે પણ જોખમી પુરવાર થઇ શકે છે જેથી રાજ્ય સરકારે આ દિશામાં કડકાઇ દાખવવી પડશે.નહિતર અમદાવાદમાં હજુય વધુ પરિસિૃથતી ગંભીર બનશે. આમ,અમદાવાદમાં કોરોનાની સિૃથતી દેખાય છે તેવી નથી બલ્કે ગંભીર છે.