આણંદમાં કમોસમી વરસાદના વિરામથી ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો

- શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો
- કમોસમી ઝરમર વરસાદથી ધરતીપુત્રોમાં જીવ અધ્ધર થયા હતા
ગત મંગળવાર રાત્રિથી આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને મોડી રાત્રિથી શરૂ થયેલ ઝરમર વરસાદ ગુરૂવાર રાત્રિ સુધી જારી રહ્યો હતો. સતત બે દિવસ જિલ્લામાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું અને જિલ્લાવાસીઓએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. જો કે આજે વહેલી સવારથી જ આકાશમાંથી ધીમે-ધીમે વાદળો હટતા સૂર્યદેવતાએ દર્શન દેતા જિલ્લાવાસીઓએ રાહત અનુભવી હતી. પરંતુ મહત્તમ તથા લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જતા જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ગત બુધવારના રોજ મહત્તમ તાપમાન ૩૦.૦ નોંધાયા બાદ ગતરોજ વરસાદી વાતાવરણમાં મહત્તમ તાપમાનમાં ૯.૦ ડિ.સે.નો ઘટાડો થતા તાપમાનનો પારો ૨૧ ડિ.સે. ઉપર સ્થિર થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૬.૨ નોંધાયું હતું. આજે તાપમાનમાં વધુ ઘટાડો નોંધાતા મહત્તમ તાપમાન ૧૭.૫ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો ૧૫.૫ ઉપર સ્થિર થયો હતો. સાથે સાથે પવનની ઝડપ પણ ૮.૨ નોંધાતા જિલ્લાવાસીઓએ આકરી ઠંડીનો અનુભવ કર્યો હતો.
બે દિવસના વરસાદી વાતાવરણ બાદ આજે જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે તાપમાનમાં થઈ રહેલ સતત ઘટાડાને પગલે જિલ્લાનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે અને લોકોને દિવસ દરમ્યાન પણ ફરજીયાત ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને મોડી રાત્રિથી વહેલી પરોઢ સુધી ઠંડીનો ચમકારો વધુ રહેતા શહેરના રાજમાર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગરીબ અને શ્રમિક વર્ગ ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે.
જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના આંકડા
આણંદ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારે ૬ઃ૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમ્યાન જિલ્લાના આંકલાવ તાલુકામાં ૪, ખંભાત તાલુકામાં ૪, ઉમરેઠ તાલુકામાં ૩ અને આણંદ તથા પેટલાદ તાલુકામાં ૧-૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે તારાપુર, બોરસદ અને સોજિત્રા તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા વરસ્યા હતા.




