Gujarat

માળીયા મિંયાણા તાલુકાના ખેડૂતો દ્વારા 'પાણી આપો'નાં સુત્રોચ્ચાર

By GS Team
20 Jul 20191 min read
This article was originally published on 20 Jul 2019
માળીયા મિંયાણા તાલુકાના ખેડૂતો દ્વારા 'પાણી આપો'નાં સુત્રોચ્ચાર

મોરબી,તા. 20 જુલાઈ 2019, શનિવાર

માળિયા મિંયાણા તાલુકાના ૧૩ ગામોનાં ખેડૂતોએ આજે નર્મદા બ્રાન્ચ કેનાલે ઉમટી પડીને પાણી આપોના નારા સાથે સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.  બે દિવસ બાદ સહપરિવાર ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી હતી.

માળિયા તાલુકાના છેવાડાના ગામમાં પાણી પહોંચતું ના હોય અને નર્મદા કેનાલ હોવા છતાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આજે માળિયા કેનાલ ખાતે માળિયા તાલુકાના ૧૩ ગામના ખેડૂતો એકત્ર થયા હતાં. નર્મદાની માળિયા બ્રાંચ કેનાલ ખાતે એકત્ર થયેલા ખેડૂતોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા અને સરકારનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

માળિયાના છેવાડાના ૧૩ ગામના ખેડૂતોને નર્મદા બ્રાંચ કેનાલમાંથી પાણી મળતું ના હોય જેથી ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આજે ખેડૂતોના વિરોધ અંગે ખેડૂત આગેવાન પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, પાણી માટે અનેક રજૂઆત કરી છે છતાં છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી પાણીચોરી રોકવા માટે તંત્રને રજુઆતો કરી છે. પરંતુ પાણી મળ્યું નથી. જો આગામી ૨ દિવસમાં પાણી નહિ મળે તો ખેડૂતો પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરુ કરશે.

 માળિયાના ખેડૂતો પરેશાન છે અને છતે પાણીએ ખેડૂતો વલખા મારી રહ્યા છે સરકાર પાણી આપવા યોગ્ય વ્યવસ્થા નહિ કરે તો ખેડૂતો દેવાદાર થશે અને બે દિવસમાં પાણી ના મળે તો મહિલા-બાળકો સાથે ખેડૂત પરિવારો આંદોલન શરુ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.