સુરત: કોરોના ટેસ્ટીંગ માટે પાલિકાએ સભા સ્થળ બહાર ધન્વંતરી રથ મુક્યો

સુરત, તા. 24 નવેમ્બર 2021 બુધવાર
શહેર ભાજપ દ્વારા સુરતમાં ગુજરાતનું સૌથી મોટું સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્રવેશતાં કાર્યકરોના કોરોના ટેસ્ટીંગ માટે પાલિકાએ ધન્વંતરી રથ મદાન બહાર મુક્યો હતો. આ ઉપરાંત સભા સ્થળે પ્રવેશ દ્વાર પર સેનેટાઈઝર પણ રાખવામા આવ્યું હતું. સભામાં આવનાર કેટલાક લોકો સેનેટાઈઝર કરતાં જોવા મળ્યા હતા પરંતુ ધન્વંતરી રથનો ઉપયોગ કરનારા ભાગ્યે જ કોઈ જોવા મળ્યું હતું.
સુરતના અઠવાલાઈન્સ વનિતા વિશ્રમ ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં ભાજપે 30 હજારથી વધુ કાર્યકરો ભેગા કરવાનો દાવો કરાયો હતો. રાજકીય પાવર આગળ પાલિકા તંત્ર પ્રવેશતા કાર્યકરો પાસે ડબલ ડોઝના સર્ટીફીકેટ તો માગી શકી ન હતી પરંતુ તકેદારીના ભાગ રૂપે પાલિકાએ પ્રવેશતા કાર્યકોના કોવિડ ટેસ્ટ માટે ધન્વંતરી રથ મુકવામા આવ્યો હતો. જોકે, ધન્વંતરી રથનો ઉપયોગ કરનારા કોઈ જોવા મળ્યા ન હતા.
આ ઉપરાંત કાર્યકરો સભા સ્થળે પ્રવેશતા હતા ત્યાં પક્ષ દ્વારા હેન્ડ સેનેટાઈઝર માટે કાર્યકરોને ઉભા રાખવામા આવ્યા હતા. સભા સ્થળ પર પ્રવેશતાં મોટા ભાગના લોકો હેન્ડ સેનેટાઈઝ કરતાં જોવા મળ્યા હતા પરંતુ મોટા ભાગના લોકો હેન્ડ સેનેટાઈઝ કર્યા વિના જ પ્રવેશી ગયા હતા. આટલું જ નહીં પરંતુ મોટા બાગના કાર્યકરોના મોઢા પર માસ્ક જોવા મળતાં ન હતા.




