GSTના વધારાના દરનો મુદ્દો લટકતી તલવાર છે, તેને સંપૂર્ણપણે પરત ખેંચો

-દેશભરના કાપડ વેપારીઓ સાથે ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયેલની વિડીયો કોન્ફરન્સમાં CAITની માંગણી
સુરત
જીએસટી દરમાં વધારો હાલ પુરતો મુલત્વી રાખવામાં આવ્યો છે. પરંતુ વેપારીઓ પર હજુ તલવાર લટકી રહી હોવાથી, આ વૃધ્ધિને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાની જરૃર છે, એવી રજૂઆત કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ સમક્ષ મુકી હતી.
જીએસટીમાં વધારાના મુદ્દે સીએઆઇટી સાથે દેશભરને કપડાં વેપારીઓ સાથે ટેક્સટાઈલ મંત્રી પિયુષ ગોયેલે વિડીયો કોન્ફરન્સ યોજીને વેપારી અગ્રણીઓની રજૂઆતો સાંભળી હતી. ટેક્સટાઇલ અને અન્ય ઘણાં સંબંધિત વેપારીઓના તર્ક અને જમીની વાસ્તવિકતાને ધ્યાનમાં લઈને વધારો પરત ખેંચી લેવાની જરૃર છે, એમ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.
સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયા અને રાષ્ટ્રીય મહા સચિવ પ્રવીણ ખંડેલવાલે અનુરોધ કર્યો હતો કે, કપડાની જેમ ફૂટવેર પર ટેકસ ઘટાડવો જોઈએ. કારણકે પણ કપડાની જેમ ફૂટવેર પણ સામાન્ય માણસના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
ટેક્સટાઈલ મંત્રીએ કાપડ મંત્રાલયના અધિકારીઓને સીએઆઇટી સાથે વાતચીત કરવા અને વેપારીઓના દ્રષ્ટિકોણને સમજવાનો નિર્દેશ આપ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે, કપડાં મંત્રાલય ટૂંક સમયમાં આ મુદ્દે બેઠક કરશે. જીએસટી ફીટમેન્ટ કમિટી અને બોમાઈ કમિટી સીએઆઇટી મીટીંગો યોજવામાં મદદ કરશે.




