મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો

- 1 માસ પુર્વ સુરતથી યુવાન પોતાના વતન આંબલા ગામે આવ્યો હતો
- 3 શખ્સે બોલાચાલી કરી માથાના ભાગે પાઈપનો જીવલેણ ઘા ફટકારતા યુવાનને સારવારમાં ખસેડાતા અંતિમ શ્વાસ લીધા
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના આંબલા ગામના વતની અને હાલ સુરત રામરાજ્ય સોસાયટીમાં રહેતા યોગેશભાઇ દિલીપભાઇ વાઘેલાએ ગત તા.૨૪-૨ના રોજ સોનગઢ પોલીસ મથકમાં કિશન પ્રવિણભાઇ ચૌહાણ, વિમલ મુકેશભાઇ ચૌહાણ, મુકેશ વાલજીભાઇ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ અને આંબલાના વતની હાલ સુરત રહેતા તેઓના કુટુંબી ભાઇ અશ્વીનભાઇ દિલીપભાઇ વાઘેલા ગત તા.૨૨-૨ના રોજ તેઓને પાલિતાણા જવું હોય જેથી આંબલા ગામે વતનમાં આંટો મારવા આવ્યા હતા ત્યારે ૨૩-૨ના રોજ સવારે અશ્વીનભાઇના ઘર પાસે ઉક્ત ત્રણેય શખ્સ પાઇપ જેવા હથિયારો ધારણ કરી અશ્વીનભાઇ સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા હોય જેથી તેઓ વચ્ચે પડતા તેને આડેધડ પાઇપના ઘા ફટકારી અશ્વીનભાઇને માથાના ભાગે પાઇપનો જીવલેણ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા બંનેને પ્રથમ સિહોર ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડયા હતાં.
દરમિયાન મારામારીમાં ઘવાયેલ અશ્વીનભાઇ દિલીપભાઇ વાઘેલા (ઉ.વ.૨૦)નું આજે બપોરે ૨.૦૦ કલાકના અરસા દરમિયાન મૃત્યુ નિપજવા પામ્યું હતું. યુવાનના મૃત્યુના પગલે મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો હતો જેને લઇ સોનગઢ પોલીસે ગુનામાં આઇપીસી ૩૦૨નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી હતી.




