Gujarat

મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો

By GS Team
20 Mar 20222 mins read
This article was originally published on 20 Mar 2022
મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો

- 1 માસ પુર્વ સુરતથી યુવાન પોતાના વતન આંબલા ગામે આવ્યો હતો

- 3 શખ્સે બોલાચાલી કરી માથાના ભાગે પાઈપનો જીવલેણ ઘા ફટકારતા યુવાનને સારવારમાં ખસેડાતા અંતિમ શ્વાસ લીધા

ભાવનગર : સુરત રહેતો યુવાન એક માસ પૂર્વે પોતાના વતન સિહોર તાલુકાના આંબલા ગામે આવતા ૩ શખ્સે બોલાચાલી અને ઝઘડો કરી યુવાનના માથાના ભાગે પાઇપનો જીવલેણ ઘા ફટકારી દેતા ગંભીર હાલતે યુવાનને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો જ્યાં આજે તેણે હોસ્પિટલ બિછાને અંતિમ શ્વાસ લેતા મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો હતો. જેને લઇ પોલીસે ૩૦૨નો ઉમેરો કર્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના આંબલા ગામના વતની અને હાલ સુરત રામરાજ્ય સોસાયટીમાં રહેતા યોગેશભાઇ દિલીપભાઇ વાઘેલાએ ગત તા.૨૪-૨ના રોજ સોનગઢ પોલીસ મથકમાં કિશન પ્રવિણભાઇ ચૌહાણ, વિમલ મુકેશભાઇ ચૌહાણ, મુકેશ વાલજીભાઇ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ અને આંબલાના વતની હાલ સુરત રહેતા તેઓના કુટુંબી ભાઇ અશ્વીનભાઇ દિલીપભાઇ વાઘેલા ગત તા.૨૨-૨ના રોજ તેઓને પાલિતાણા જવું હોય જેથી આંબલા ગામે વતનમાં આંટો મારવા આવ્યા હતા ત્યારે ૨૩-૨ના રોજ સવારે અશ્વીનભાઇના ઘર પાસે ઉક્ત ત્રણેય શખ્સ પાઇપ જેવા હથિયારો ધારણ કરી અશ્વીનભાઇ સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા હોય જેથી તેઓ વચ્ચે પડતા તેને આડેધડ પાઇપના ઘા ફટકારી અશ્વીનભાઇને માથાના ભાગે પાઇપનો જીવલેણ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા બંનેને પ્રથમ સિહોર ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડયા હતાં. 

દરમિયાન મારામારીમાં ઘવાયેલ અશ્વીનભાઇ દિલીપભાઇ વાઘેલા (ઉ.વ.૨૦)નું આજે બપોરે ૨.૦૦ કલાકના અરસા દરમિયાન મૃત્યુ નિપજવા પામ્યું હતું. યુવાનના મૃત્યુના પગલે મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો હતો જેને લઇ સોનગઢ પોલીસે ગુનામાં આઇપીસી ૩૦૨નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી હતી.