Gujarat

સુરતમાં પહેલું કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટર તૈયાર

By GS Team
17 Jan 20222 mins read
This article was originally published on 17 Jan 2022
સુરતમાં પહેલું કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટર તૈયાર

- અડાજણ પાલિકાના કોમ્યુનીટી હોલમાં સારવારની સુવિધા સાથે 100 બેડના આઈસોલેશન સેન્ટર તૈયાર

- જૈન સંસ્થા દ્વારા હોમિયોપેથિ, એલોપેથી અને આર્યુવેદિક દવા ઉપરાંત દર્દીઓના મનોરંજન માટેની તામમ તૈયારીઓ પુરી થઈ

પ્રતિનિધિ દ્વારા સુરત, સોમવાર

સુરતમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટર તૈયાર થઈ  રહ્યાં છે. રોજના 2500થી  3000 કેસની આસપાસ કેસ થતાં  હોસ્પીટલના બદલે આઈસોલેશન સેન્ટર પર સામાન્ય લક્ષણ ધરાવતાં દર્દીઓને સારવાર મળે તે માટે આયોજન કરવામા આવ્યું છે. અનેક સસ્થાઓએ કોવિડ કેર સેન્ટર શરૂકરવા માટે તૈયારી બતાવી છે તેની સાથે અડાજણના જૈન સંઘ દ્વારા કોમ્યુનીટી હોલમાં સેન્ટર માટે તમામ તૈયારી પુરી કરી દેવામાં આવી છે.

સુરતમાં હાલામં કોરોનાના કેસમાં સતત વધારો થતાં પાલિકા તંત્રએ વિવિધ સમાજ અને સંસ્થાને કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે અપીલ કરી હતી તેના ભાગ રૂપે અનેક સંસ્થાઓએ સેન્ટર શરૂ કરવા માટે તૈયારી બતાવી હતી. જેમાં અડાજણ દિવાળી બાગ કોમ્યુનીટી હોલ ખાતે શ્રી જૈન શ્વેતાંબર મુર્તિપુજક યુવક મહાસંઘ અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન દ્વારા 100 બેડનું આઈસોલેશન સેન્ટર તૈયાર કરી દેવામાં આવ્યું છે.


જૈન સમાજના અગ્રણી અને પુર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહે જણાવ્યું છે કે, પાલિકાના દિવાળીબાગ કોમ્યુનટી હોલમાં પહેલી  લહેરમાં 125 અને બીજી લહેરમા પણ અમારી સંસ્થા દ્વારા કોવિડ કેર સેન્ટર  શરૂકરવામા આ્વ્યું હતું. જેમાં 13 એપ્રિલથી 6જુન દરમિયાન શરૂ થયેલા સેન્ટરમાં 441 દર્દીઓને ઓક્સીજન, રેનવેસિવિર ઈન્જેક્શન અને અન્ય દવાઓ સાથે સારવાર આપીને સાજા કરીને ઘરે મોકલવામા આવ્યા હતા. આ દરમિયાન કેટલાક જૈન સાધુ સાધ્વીઓ સંક્રમિત થયાં હતા તેમની પણ સારવાર કરવામા આવી હતી. 

હાલમાં પાલિકાના કોમ્યુનીટી હોલામં 100 બેડ સાથે આઈસોલેશન સેન્ટર તૈયાર કરી દેવામાં આવ્યું છે અને ત્યાં ફરજ માટે તબીબ અને નર્સીંગ સ્ટાફની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ વખતે કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ માટે હોમીયોપેથી, આર્યુવેદિક અને એલોપેથી તમામ પ્રકારની દવાથી સારવાર કરવામાં આવશે. આ વખતે ઓક્સીજનની વધુ જરૃર પડે તેમ લાગતું ન હોવાથઈ 10 કે 20 બેડ ઓક્સીજનના રાખવા માટે આયોજન  કરવામાં આવ્યું છે. સારવાર સાથે સાથે દર્દીઓને મનોરંજન મળી રહે તે માટે વાઈફાઈ અને એલ.ઈ.ડી સ્ક્રીન પર ભગવાનના દર્શન અને મનોરંજન કાર્યક્રમ નિહાળવા મળે તે માટે આયોજન કરવામા આવ્યું છે. સંસ્થા  દ્વારા આઈસોલેશન વોર્ડ માટે તામમ તૈયારી કરી દેવામા આવી છે પાલિકા તંત્ર જ્યારે પણ કહેશે ત્યારે આઈસોલેશન સેન્ટર શરૂ કરી દેવામા આવશે.