Gujarat

અંબાજીમાં હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાશે

By GS Team
15 Feb 20203 mins read
This article was originally published on 15 Feb 2020
અંબાજીમાં હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમુહ લગ્નોત્સવ યોજાશે

પાલનપુર તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા આયોજિત ૧૦૦૮ વિશેષ સમૃદ્ધ  વિવાહનું આયોજન જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ અંબાજી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૩૫ વર્ષથી ઉંમરથી લઇને ૧૦૦ વર્ષ સુધીના નવયુગલો અગ્નિની સાક્ષીએ વિવાહ કરીને સોળમો સંસ્કાર પ્રાપ્ત કરશે જેને લઇ સમગ્ર અંબાજી, આબુ, પીંડવાડા સહિતના વિસ્તારના ડુંગરી ગરાસિયા સમજમાં ભારે અત્યંત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સતત પાંચ વર્ષથી લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે સૌ પ્રથમવાર ૮૦૨ યુગલો એકજ માંડવી અગ્નિની સાક્ષીએ હિન્દુ ધાર્મિક વિધિથી લગ્ન કરશે જેમાં અંબાજી, દાતા, અમીરગઢ ,આબુરોડ, પોશીના ,પિંડવાડા સહિતના વિસ્તારમાં વસતા ડુંગરી આદિવાસી સમાજના ૩૫ વર્ષની ઉંમરથી લઇને સૌ વર્ષની ઉંમરના ૯ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે જેને આ આશીર્વાદ આપવા દ્વારકાના પરમ પૂજય શ્રી દંડીસ્વામી સદાનંદતીર્થજી મહારાજ તેમજ ચાપરડા સૌરાષ્ટ્રના અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષશ્રી મુક્તાનંદ જી મહારાજ નવયુગલોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે જ્યારે શિરોહી સ્ટેટ(રાજસ્થાન) વાવ સ્ટેટ, દાંતા સ્ટેટ, ચિતલવાસણા તથા પોશીના સ્ટેટ, કટોસણ સ્ટેટના રાજવીઓ પણ યુગલોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે.

૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ૧૦ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

આ લગ્ન પ્રસંગમાં ૮૦૨ વરઘડિયા નોંધાયા છે. જેમાંથી ૧૦૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના ૧૦,૮૦થી ૯૦ વર્ષની ઉંમરના ૨૦૦,૬૦થી ૭૦ ઉંમરના ૪૦૦, ૩૫ થી ૫૦ ઉંમરના ૧૯૨ જોડા આ શુભ પ્રસંગમાં લગ્નગ્રંથીથી જોડવાના છે જેમાં પ્રથમ ૧૦ યુગલોના એવા પરિવાર છે જેની પાંચમી પેઢીના સભ્યો આ પ્રસંગમાં હાજર રહેશે જેના પરિવારમાં પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર મળી ૫૦થી ૧૦૦ સભ્યોની સંખ્યા હશે એવા પરિવાર પણ છે જેને પોતાના ૧૦ થી ૧૨ સંતાન આ પ્રસંગમાં હાજર હશે.

વિશેષ સમૃદ્ધ વિવાહ કેમ?

કુલ ૮૦૨ યુગલો પૈકી ૩૫ વર્ષની ઉંમરથી લઇ ૧૦૦ વર્ષની ઉંમરના પણ પોતાના કુટુંબના ૧૦૦ સભ્યોની હાજરીમાં લગ્નગ્રથીથી જોડાઇ રહ્યા છે. તેમજ કુલ ૧૨૫થી વધુ ગામોમાંથી યુગલો એક માંડવે પોતાના પુત્ર-પૌત્રની હાજરીમાં લગ્નગ્રંથીથી જોડાઇને એક વિશેષ દુષ્ટાંત પુરૃં પાડતા હોય આ અનોખા લગ્નને વિશેષ સમુદ્ધ વિવાહ કહ્યું હોવાનું સમારંભના અધ્યક્ષ જોગાજી વેલાજી પરમાર ગામ પટેલે જણાવ્યું હતું.

ભવ્ય શોભાયાત્રા નીકળશે

બેન્ડ વાજા, તોપોની સલામી, આતશબાજી સાથે ૮૦૨ યુગલો ટ્રેક્ટરોમાં બિરાજમાન થઇ અંબાજી ખાતે શોભાયાત્રા સ્વરૃપે શહેરની પ્રદક્ષિણા કરી લગ્નના માંડવે આવી લગ્નગ્રંથીથી જોડાશે

દાદા, પિતા અને દીકરો એક ચોરીમાં લગ્ન ન કરી શકે તેવી પરંપરા હતી

સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજમાં જૂની પરંપરા મુજબ મોટી ઉંમરના માન આપવામાં આવતું હોવાથી દાદા, પિતા અને દીકરો એક ચોરીની અંદર લગ્ન કરી ન શકે તેવી પરંપરા હતી જેમાં દાદાના લગ્ન રાત્રે થાય, પિતાના લગ્ન દિવસે થાય અને દીકરાના લગ્ન બીજા દિવસે થાય તેમજ જે ચોરીની અંદર દાદાના લગ્ન થયા હોય તે ચોરીની અંદર પિતા અને પુત્રના લગ્ન ન થઇ શકે અને તેના માટે બીજી ચોરી બનાવવામાં આવતી હતી.

કયાં રાજવી પરિવાર મુખ્ય મહેમાન બનશે

આ સમહલગ્નમાં શ્રીમાન રધુવીરસિંહજી(શિરોહી સ્ટેટ), શ્રીમાન ગજેન્દ્રસિંહજી (વાવ સ્ટેટ), યુવરાજ રિદ્ધિરાજસિંહજી(દાંતા સ્ટેટ), હરેન્દ્ર પાલજી(પોશીના સ્ટેટ), રાવ મોહનસિંહજી ચિતલવાસણા(રાજસ્થાન), નામદાર ઠાકોર ધર્મપાલજી (કટોસણ સ્ટેટ) સહિતના રાજવીઓ મહેમાન બનશે.