Gujarat

કોટ વિસ્તારના ગોપીપુરા અંબાજી મંદિર નજીકની ઘટના : ઉછીના આપવાની ના પાડતા માથાભારે તત્વએ તોડફોડ કરી બે ના માથા ફોડી નાંખ્યા

By GS Team
4 Jan 20222 mins read
This article was originally published on 4 Jan 2022
કોટ વિસ્તારના ગોપીપુરા અંબાજી મંદિર નજીકની ઘટના : ઉછીના આપવાની ના પાડતા માથાભારે તત્વએ તોડફોડ કરી બે ના માથા ફોડી નાંખ્યા


- અગાઉ હત્યા કેસમાં ઝડપાયેલા માથાભારેનું કૃત્યઃ તોડફોડ કર્યા પછી કહ્યું જોઇ લીધું શું થયું તે કહી પાઇપ ફટકાર્યા

સુરત
ગોપીપુરાના જય અંબે વોટર પ્લાન્ટના માલિકે ખંડણી પેટે 8 હજાર રૂપિયા આપવાનો ઇન્કાર કરતા સ્થાનિક વિસ્તારના માથાભારે તત્વએ તેના બે મિત્રો સાથે મળી પાણીની બોટલની તોડફોડ કરવા ઉપરાંત પ્લાન્ટના બે ભાગીદાર પર પાઇપ વડે હુમલો કરી માથા ફોડી નાંખતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.
શહેરના ગોપીપુરા સ્થિત અંબાજી મંદિર નજીક જય અંબે વોટર પ્લાન્ટ નામે ભાગીદારીમાં ધંધો કરતા અનિલ કૃષ્ણકાંત અત્તરવાલા (ઉ.વ. 46 રહે. 17, બ્લુય ડાયમંડ એપાર્ટમેન્ટ, અડાજણ પાટીયા) પાસે અઠવાડીયા અગાઉ સ્થાનિક વિસ્તારના માથાભારે અન્નુ માછીએ ખંડણી પેટે 8 હજાર રૂપિયા માંગ્યા હતા. પરંતુ અનિલે આપવાનો ઇન્કાર કરતા અન્નુ માછીએ વોટર પ્લાન્ટની બહાર મુકેલી પાણીની ચારથી પાંચ બોટલની તોડફોડ કરી હતી.


જેની જાણ થતા અનિલ અને તેના ભાગીદાર વિષ્ણુ ચૌહાણ દોડી ગયા હતા. જયાં અન્નુ માછી બાઇક લઇને આવ્યો હતો જોઇ લીધું શું થયું એમ કહી બાઇક પરથી ઉતરીને અનિલ સાથે ઝપાઝપી કરી હતી અને બીજી બાઇક પર આવેલા તેના બે સાથીદારોએ સ્ટીલના પાઇવ વડે બંને ભાગીદારોને માર માર્યો હતો. જેથી લોકોનું ટોળું એક્ઠું થઇ જતા અન્નુ માછી અને તેના મિત્રો ભાગી ગયા હતા. ઘટના અંગે અનિલે અન્નુ માછી અને તેના મિત્રો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ હત્યા કેસમાં ઝડપાયેલો અન્નુ માથાભારેની છાપ ધરાવે છે અને તેણે ઉછીના નહીં પણ ખંડણી માંગી હોવાનું જાણવા મળ્યું છે