Gujarat

નવસારીના દલાલની ઉધનાના વૃધ્ધ સાથે ઠગાઇ: જમીન અપાવવાની લાલચ આપી વૃધ્ધ પાસેથી દલાલે રૂ. 2.29 કરોડ પડાવ્યા

By GS Team
17 Nov 20212 mins read
This article was originally published on 17 Nov 2021
નવસારીના દલાલની ઉધનાના વૃધ્ધ સાથે ઠગાઇ: જમીન અપાવવાની લાલચ આપી વૃધ્ધ પાસેથી દલાલે રૂ. 2.29 કરોડ પડાવ્યા



- દસ્તાવેજ માટે ધક્કે ચઢાવતા વૃધ્ધે ફરીયાદ કરવાનું કહ્યું, સમાધાન રૂપે બાંહેધરી કરાર લખી આપી રૂ. 15 લાખ ચુકવ્યા, બાકીની રકમ નહીં ચુકવી

સુરત
ઉધના મેઇન રોડ પર કાર રીપેરીંગનું વર્કશોપ ધરાવતા વૃધ્ધને નવસારીમાં જમીન અપાવવાની લાલચ આપી રૂ. 2.29 કરોડ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર ચીખલીના જમીન દલાલ વિરૂધ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાય છે.
ઉધના બસ ડેપોમાં દુકાન નં. 25 માં કાર રીપેરીંગનું વર્કશોપ ધરાવતા દામજી શામજી પ્રજાપતિ (ઉ.વ. 62 રહે. એ 13, મીરાનગર સોસાયટી, ઉધના) અગાઉ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા. ઉધના બસ ડેપો વાળી દુકાન પાંચેક વર્ષ અગાઉ ભાડે આપી હતી અને દુકાન ખાતે સમયાંતરે અવરજવર થતી હોવાથી દામજીભાઇનો પરિચય જમીન દલાલ નિમેષ ઉર્ફે લાલા સુધીર માવાણી (રહે. 23, રઘુવંશી સોસાયટી, મજી ગામ, ચીખલી, નવસારી) સાથે થયો હતો. નિમેષે દામજીભાઇને જે તે વખતે નવસારી ખાતે મોકાની જમીન અપાવી હતી ત્યાર બાદ નવસારીના ભુલા ફળીયાના રે. સર્વે નં. 197 વાળી જમીનનો જાન્યુઆરી 2017 માં સોદો કરાવ્યો હતો. જમીન વેચાણ પેટે દામજીભાઇએ રૂ. 2.44 કરોડ ચુકવી દીધા હતા. પરંતુ વાયદા મુજબ નિમેષે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. નિમેષ વારંવાર વાયદા કરતો હોવાથી દામજીભાઇએ પોલીસ ફરીયાદ કરવાનું કહેતા તેણે રૂપિયા પરત આપવાનો બાંહેધરી કરાર લખી આપી સમાધાન કર્યુ હતું. સામધાનના ભાગ રૂપે જાન્યુઆરી 2021માં રૂ. 15 લાખ ચુકવ્યા હતા પરંતુ બાકીના રૂ. 2.29 લાખ આજ દિન સુધી નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હતો.