Get The App

બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ

પ્રહલાદનગર, વેજલપુર વિસ્તારમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી અપાશે

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ 1 - image

     

  અમદાવાદ,સોમવાર,11 મે,2026

અમદાવાદના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં લીકેજની સમસ્યા થતા તેનુ સમારકામ કરાશે. આ માટે પ્રહલાદનગર જંકશન ઉપર આવેલી બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે.પ્રહલાદનગર અને વેજલપુર વિસ્તારમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી અપાશે.સવારનો સપ્લાય અપાયા પછી લાઈનમાં થયેલા લીકેજના સમારકામની કામગીરી કરાશે.

 પ્રાપ્ત વિગત મુજબ, પ્રહલાદનગરથી આનંદનગર ચાર રસ્તા તરફ આવેલા એક શોરુમ પાસે જાસપુર પ્લાન્ટની ૮૦૦ મી.મી.વ્યાસની પાણીની લાઈનમાં લીકેજ હોવાનુ ધ્યાનમા તંત્રના ધ્યાનમા આવ્યુ હતુ.૧૨ મેના રોજ સવારનો પાણી સપ્લાય આપી સમારકામ કરાશે.આ કામગીરીના કારણે જોધપુર વોર્ડના પ્રહલાદનગર, શ્રધ્ધા,પ્રમુખ, ગોકુલ આવાસ,સારા ભાઈ વિસ્તાર સહિત વેજલપુર વોર્ડના ગામતળ ઉપરાંત શૈવાલી,સાલપરા, સૂર્યનગર,બળદેવનગર તેમજ દેવાસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામા આવશે.

કોર્પોરેશને પોતાની  પીઠ થપથપાવી, પાણી કાપની અસર નથી

નર્મદા કેનાલમાં સમારકામની કામગીરીને લઈ શહેરના પાંચ ઝોનમાં દસ દિવસ સુધી પાણી કાપ આપવામા આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોને પાણી પુરુ પાડે છે તેમા કોઈ ઉપકાર કરતુ નથી. નળ,ગટર અને પાણીના સૂત્ર ઉપર જ મ્યુનિસિપલ કોર્પોરેશનને કામગીરી કરવાની હોય છે. આમ છતાં સોમવારે કોર્પોરેશનના વધુ પડતા ઉત્સાહી પાણી ખાતા દ્વારા શહેરમાં પાણીકાપ હોવા છતાં તેની અસર નથી એ પ્રકારની પ્રસિધ્ધિ મેળવવા પોતાની પીઠ થપથપાવી છે.કોતરપુર વોટર વર્કસ ખાતેથી રોજ ૧૦૫૦ એમ.એલ.ડી.પાણી પુરુ પાડવાનુ આયોજન કરાયુ છે. ઉપરાંત વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના બોરવેલ કાર્યરત કરાયા છે.રાસ્કામાંથી ૨૨૦ એમ.એલ.ડી.પાણી મેળવાઈ રહયુ છે.સાબરમતી,ચાંદખેડા અને મોટેરામા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી અપાઈ રહયુ છે.