Gujarat

અમદાવાદમાં સૌથી વધુ સિરો પોઝિટિવિટી ધરાવતા પશ્ચિમના વિસ્તારના ત્રણ ઝોનમાં જ સૌથી વધુ કેસ

By GS Team
22 Jan 20223 mins read
This article was originally published on 22 Jan 2022
અમદાવાદમાં સૌથી વધુ સિરો પોઝિટિવિટી ધરાવતા  પશ્ચિમના વિસ્તારના ત્રણ ઝોનમાં જ સૌથી વધુ કેસ

અમદાવાદ,શુક્રવાર,21 જાન્યુ,2022

અમદાવાદ શહેરમાં ગુરુવારે નવ હજારથી  પણ વધુ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં વધતા નવા કેસની વચ્ચે થયેલા ઘટસ્ફોટમાં છ મહિના અગાઉ મ્યુનિ.દ્વારા કોરોના વેકિસન લીધા બાદવ્યકિતના શરીરમાં ડેવલપ થતા એન્ટી બોડીપોઝિટિવિટી રેશિયો કેટલા ટકા સુધી ડેવલપ થયો છે એ જાણવા સિરો પોઝિટિવિટી સરવે કરાવાયો હતો.આ સરવેમાં દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર ઉપરાંત વેજલપુર, સરખેજ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ અને થલતેજ સહિતના વોર્ડમાં ૮૧ ટકા જેટલો પોઝિટિવિટી રેશિયો જોવા મળ્યો હતો.આ તમામ વિસ્તારો એવા છે કે જયાં લોકોએ કોરોના વેકિસનનો એક ડોઝ કે બંને ડોઝ સૌથી વધુ પ્રમાણમાં લીધેલો છે.આમ છતાં આ વિસ્તારોમાં હાલમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયું છે.

માર્ચ-૨૦૨૦માં અમદાવાદ શહેરમાં કોરોના મહામારીની શરૃઆત થઈ હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારી  થયા બાદ જુન ઉપરાંત ઓગસ્ટ અને ઓકટોબર મહિનામાં કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાના દર્દી અને તેમના સંપર્કમાં આવેલા લોકો પૈકી નિશ્ચિત સંખ્યામાં લોકોના કોરોના બાદ એન્ટિબોડી કેટલા ટકા લોકોમાં વિકસિત થઈ છે એ બાબતમાં સિરો પોઝિટિવિટી સરવે કરાવ્યો હતો.મ્યુનિ.તંત્ર તરફથી કરાવવામાં આવેલા સિરો પોઝિટિવિટી સરવે દરમ્યાન અનુક્રમે ૨૩.૨ ટકા અને ૨૪.૨ ટકા લોકોમાં પોઝિટિવિટી રેશિયો જોવા મળ્યો હતો.

૧૬ જાન્યુઆરીથી અમદાવાદ શહેરમાં કોરોના વેકિસનની કામગીરી હાથ ધરવામાં આવી છે.દરમ્યાન ફેબુ્રઆરી-૨૦૨૧માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચોથો સિરો સરવે કરાવવામાં આવતા ૨૭.૨ ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થયેલા જોવા મળ્યા હતા.અમદાવાદમાં વર્ષ-૨૦૨૧માં ૨૮ મેથી ૩ જુન-૨૦૨૧ દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચમો સિરો સરવે કરાવવામાં આવ્યો હતો.

મ્યુનિ.તરફથી કરવામાં આવેલા પાંચ સિરો સરવે પૈકી એક સરવેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નહોતો.પાંચમા સિરો સરવેમાં જોધપુર ઉપરાંત સરખેજ,મકતમપુરા ઉપરાંત બોડકદેવ અને થલતેજ જેવા વોર્ડના લોકો પૈકી સેમ્પલ લેવામાં આવતા ૮૧ ટકા જેટલો પોઝિટિવિટી રેશિયો જોવા મળ્યો હતો.પાંચમા સરવેમાં ૧૯૦૦ પુરુષ અને ૨૧૦૦ જેટલી મહિલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.પાંચમા સરવે સમયે સાત ઝોનમાંથી પાંચ હજાર જેટલા લોકોના સેમ્પલ લઈ સિરો પોઝિટિવિટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ સરવેમાં જે લોકોની કોઈ મેડિકલ હીસ્ટ્રી નહોતી એવા લોકોમાં પોઝિટિવિટી રેશિયો ૭૬.૭ ટકા જેટલો જોવા મળ્યો હતો.હાલમાં સૌથી વધુ પોઝિટિવિટી રેશિયો જે વોર્ડ-વિસ્તારમાંથી મળી હતી એ વિસ્તારમાંથી જ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

છ મહિનાથી મ્યુનિ.તંત્રે સિરો સરવે કરાવ્યો જ નથી

અમદાવાદમાં માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીનો સમય શરૃ થયા બાદ અત્યાર સુધીમાં કુલ પાંચ સિરો પોઝિટિવિટી સરવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવ્યા છે.છેલ્લે પાંચમો સિરો સરવે ૨૮ મેથી ૩ જુન દરમ્યાન કરાવવામાં આવ્યો હતો.બાદમાં છ મહિના ઉપરાંતનો સમય પસાર થવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવો કોઈ સિરો સરવે કરાવવામાં આવ્યો ના હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

વેકસિન લીધા બાદ છ મહિના સુધી એની અસર રહેતી હોય છે

અમદાવાદમાં જે વોર્ડ-વિસ્તારોમાં પાંચમા સિરો સરવે સમયે એન્ટિબોડીને લઈ સૌથી વધુ પોઝિટિવિટી રેશિયો જોવા મળ્યો હતો.એવા વિસ્તારોમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ અંગે તબીબી નિષ્ણાતોના તારણ મુજબ,કોરોના વેકિસન લીધા બાદ છ મહિના સુધી એની અસર રહેતી હોય છે.બાદમાં એની અસર ઘટતી જોવા મળતી હોય છે.આવી પરિસ્થિતિમાં કોરોના વેકિસન લીધી હોય તો પણ ફરી સંક્રમિત ના થવાની કોઈ ગેરંટી હોતી નથી.કોરોના વેકિસન લેવાનો ફાયદો એ રહે છે કે,વેકિસન લીધા બાદ જે તે વ્યકિત કોરોના સામે લડત આપી શકે છે.વેકિસન લેનારનો બચાવ પણ થતો હોય છે.