Gujarat

સુવા જવાનું કહીને મિત્રો પાસેથી નીકળેલા યુવાનની ગળું દબાવી હત્યા કરેલી લાશ મળી

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
સુવા જવાનું કહીને મિત્રો પાસેથી નીકળેલા યુવાનની ગળું દબાવી હત્યા કરેલી લાશ મળી

- નવા કમેલા સંજયનગર ઝુપડપટ્ટીનો બનાવ

- મિત્રોને મળસ્કે સુવા જવાનું કહી ઘરે જવા નીકળ્યો અને ગણતરીની મિનિટોમાં રીક્ષાચાલક યુવાનની લાશ મળતા હત્યાનું રહસ્ય ઘેરાયું

સુરત, : સુરતના સરદાર માર્કેટની પાછળ નવા કમેલા સંજયનગર ઝુપડપટ્ટીમાં બુધવારે મધરાતે મિત્રો સાથે બેસેલા યુવાન રીક્ષાચાલકના મૃતદેહને મળસ્કે તેના મિત્રો ઘરે લાવતા અને પોસ્ટમોટર્મ રિપોર્ટમાં તેની ગળું દબાવી હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતા પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તેના મિત્રોની પુછપરછ હાથ ધરી છે.

મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં પુણા સરદાર માર્કેટની પાછળ નવા કમેલા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ એમ્બ્રોઇડરીના કારખાનામાં પોટલાં ઊંચકવાની મજૂરીકામ કરતા મહેમૂદખાન બિસમિલ્લાખાન પઠાણનો 26 વર્ષીય પુત્ર સલમાન રીક્ષા ચલાવતો હતો. બે બાળકોના પિતા સલમાનની પત્ની શબાના એક મહિનાથી ડિલિવરી માટે પિયર મહારાષ્ટ્ર ગઈ હોય બુધવારે રાત્રે સલમાન તેના પિતાને મહોલ્લામાં મિત્રો સાથે બેસવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. મધરાતે મહેમૂદખાનની આંખ ખુલી ત્યારે સલમાન ઘરે આવ્યો ન હોય તેને બોલાવવા ગયા ત્યારે સલમાને જાવ તુમ મે આતા હું કહેતા મહેમુદખાન ધરે આવી સુઈ ગયા હતા. દરમિયાન, મળસ્કે ચાર વાગ્યે સલમાનના મિત્રો અબ્દુલઅકીલ કબીર શેખ, મઝહર ઉર્ફે મુઝુ કદીર શેખ, જાફર અફસર શેખ, રહીમ અનીશ શેખ અને કામીલ ઉર્ફે પીલુ મોબીન શેખ તેની લાશ લઈ ઘરે આવતા મહેમૂદખાન ચોંકી ગયા હતા.



સલમાનના મિત્રોએ જણાવ્યું હતું કે તેઓ રાત્રે બેસીને વાત કરતા હતા અને લગભગ સાડા ત્રણ વાગ્યે તે સુવા જવાનું કહી નીકળ્યા બાદ તે ઝુપડપટ્ટીમાં જ ગલી નં.12 ધર નં.246 પાસે અફસર ચાચાના ઘર પાસેથી બેભાન મળતા મિત્રો તેને રીક્ષામાં સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી લઈ જવા કહેતા મિત્રો તેની લાશ લઈ ઘરે આવ્યા હતા. મહેમૂદખાને સ્થાનિકોની સલાહને પગલે આ અંગે પોલીસને જાણ કરતા પુણા પોલીસે સલમાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતા પુણા પોલીસે હત્યાનો ગુનો નોંધી તેના મિત્રોની પુછપરછ હાથ ધરી હતી. જોકે, સુવા જવાનું કહી નીકળ્યાની ગણતરીની મિનિટોમાં જ તેની હત્યા કરેલી લાશ મળતા અને તે અંગે તેના મિત્રો અજાણ હોય સલમાનની હત્યા પાછળ રહસ્ય ઘેરાયું છે. વધુ તપાસ પીઆઈ વી.યુ.ગડરીયા કરી રહ્યા છે.