Get The App

સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી 1 - image


Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના થાન પોલીસ મથકે એક પત્રકાર સહિત ત્રણ શખસો સામે 75.28 કરોડ રૂપિયાની બહુચર્ચિત છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. ન્યૂઝપેપરમાં સભ્ય બનાવવાનું કહી ઓળખના પુરાવા મેળવી, ખોટી સહીઓ દ્વારા પેઢી ઊભી કરીને આ આખું કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

જાણો શું છે સમગ્ર મામલો

થાન તાલુકાના ખાખરાવાળી ગામે રહેતા ફરિયાદી ઉકાભાઈ ગાંડાભાઈ કાંજીયાની પંચરની દુકાને વર્ષ 2012 દરમિયાન થાનમાં રહેતા કાળુ પત્રકાર ઉર્ફે ભરત ધીરજલાલ દવે અવારનવાર આવતા હોવાથી ઓળખાણ થઈ હતી. આ દરમિયાન કાળુએ ફરિયાદી ગાંડાભાઈને પોતાના ન્યૂઝ પેપરના સભ્ય બનાવવા માટે અને ભવિષ્યમાં ન્યૂઝ પેપર શરૂ કરી શકશે તેમ જણાવતા ફરિયાદી ગાંડાએ પોતાના ઓળખના આધાર પુરાવા આપ્યા હતા. આ ઉપરાંત કોઈ ન્યૂઝ પેપરમાં સભ્ય બનાવવાનું જણાવી ફોર્મના ફોર્મેટમાં ફરિયાદીની સહીઓ કરાવી ફરિયાદીના નામથી થાન શહેરી વિસ્તારમાં શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામથી પેઢી શરૂ કરી દીધી હતી.

વર્ષ 2012થી વર્ષ 2016 દરમિયાન કાળુ સહિત ત્રણ શખસો દ્વારા ચેક તેમજ આરટીજીએસમાં ફરિયાદીની ખોટી સહીઓ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અંગત લાભ માટે  71,00,62,490 રૂપિયા જેટલી રકમની લેતીદેતીના વ્યવહારો કર્યા હતા. જે વ્યવહારો માટે સરકારને ભરવા પાત્ર ઇન્કમટેક્સની રકમ ભરપાઈ નહીં કરતા ફરિયાદીના નામની ઇન્કમટેક્સની 4,27,87,486 રૂપિયાની નોટિસ પણ નીકળી હતી.

આમ કાળુ સહિત ત્રણ શખસો દ્વારા ફરિયાદી અને સરકાર સહિત કુલ  75,28,49,976 રૂપિયાની છેતરપિંડી કરતા ભોગ બનનાર ફરિયાદીએ થાન પોલીસ મથકે ભરત ધીરજલાલ દવે ઉર્ફે કાળુ પત્રકાર,, વીરલ હસમુખરાય ગાંધી અને ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર જગદીશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.