Get The App

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું રૃપિયા 757 કરોડનું બજેટ રજુ કરાયું

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું રૃપિયા 757 કરોડનું બજેટ રજુ કરાયું 1 - image

૩૦ વર્ષ બાદ શહેરને ૧૭ નવી ટીપી સ્કીમ મળશે

કનેક્ટિવિટી અને રોડ-રસ્તા માટે રૃ. ૯૯ કરોડની જોગવાઈ ઃ રખડતા ઢોર અને સ્વાન નિયંત્રણ માટે પ્રથમવાર જોગવાઈ ઃ વઢવાણને હેરિટેજ સિટી તરીકે વિકસાવાશે

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ તેનું બીજું અને અત્યાર સુધીનું સૌથી મહત્વાકાંક્ષી બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગૌવ્હાણે દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૃ.૭૫૭ કરોડનું બજેટ જાહેર કરાયું છે. ગત વર્ષના રૃ. ૭૫૧ કરોડના બજેટમાં સાધારણ વધારો કરી આ વર્ષે શહેરના માળખાગત વિકાસ અને જનસુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય સુરેન્દ્રનગરને અમદાવાદ જેવી મેટ્રો સિટીની સુવિધાઓથી સજ્જ કરવાનો છે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે સૌથી વધુ રૃ. ૯૯ કરોડનો ખર્ચ માત્ર રોડ-રસ્તા પાછળ કરવામાં આવશે. જેમાં આઇકોનિક રોડ, રસ્તાનું રિસરફેસિંગ અને ફૂટપાથ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શહેરમાં નવા ઉમેરાયેલા ૫ ગામોના વિકાસ માટે ખાસ રૃ. ૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરી આયોજનને વેગ આપવા માટે ૩૦ વર્ષના લાંબા અંતરાલ બાદ પ્રથમ વખત ૧૭ નવી ટીપી (ટાઉન પ્લાનિંગ) સ્કીમ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

પીવાના પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વોટર પ્રોજેક્ટ અંતર્ગત રૃ. ૫૦ કરોડ અને ડ્રેનેજ નેટવર્ક માટે રૃ. ૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેનિટેશન માટે રૃ. ૪૦ કરોડની જોગવાઈ કરાઈ છે. રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નવી પાંજરાપોળ માટે રૃ. ૪ કરોડ ખર્ચાશે. આ બજેટની ખાસિયત એ છે કે, પ્રથમ વખત ભૂંડ અને સ્વાન પકડવા માટે અલગથી ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે.

શહેરની જાહેર પરિવહન સેવાને મજબૂત કરવા રૃ. ૫ કરોડના ખર્ચે નવી સીટી બસો દોડાવવામાં આવશે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રૃ. ૧૦ કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને વેજીટેબલ માર્કેટ તેમજ વોકર્સ ઝોન માટે રૃ. ૫૭ કરોડનો ખર્ચ કરાશે. વઢવાણ શહેરની પ્રાચીન અસ્મિતા જાળવવા તેને 'હેરિટેજ સીટી' તરીકે વિકસાવવા માટે રૃ. ૨ કરોડ અને દૂધરેજ, ગંગાવા તથા અન્ય તળાવોના બ્યુટિફિકેશન માટે કુલ રૃ. ૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરને સ્માર્ટ સીટી બનાવવાના ભાગરૃપે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નવી સરકારી ઇમારતો, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાજગ સ્ટેશન અને સોલાર એનર્જી પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ પ્રોજેક્ટ્સ માટે અલગથી રૃ. ૧૧૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ સિવાય નવી લાઈબ્રેરી, કોમ્યુનિટી હોલ અને સીટી સિવિક સેન્ટર માટે રૃ.૨૩.૫૦ કરોડ ફાળવાયા છે. ઐતિહાસિક વઢવાણ શહેરને હેરિટેજ લુક આપવા બે કરોડ, અને દુધરેજ સહિતના તળાવોના બ્યુટિફિકેશન માટે બે કરોડ, પણ કરોડોની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બજેટ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટિ કમિશનર, જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિાક, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદિશભાઇ મકવાણા, પૂર્વ ધારાસભ્યો ધનજીભાઇ પટેલ અને ધનરાજ કૈલા હાજર સહિતના મનપાના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

બજેટ હાઈલાઈટ્સઃ ક્યાં કેટલો ખર્ચ થશે?

પ્રોજેક્ટનું નામ  ફાળવેલી  રકમ (કરોડમાં)     

રોડ-રસ્તા અને કનેક્ટિવિટી     રૃ. ૯૯.૦૦ કરોડ      

વોટર પ્રોજેક્ટ (પાણી પુરવઠો)  રૃ. ૫૦.૦૦ કરોડ      

સોલિડ વેસ્ટ અને સેનિટેશન     રૃ. ૪૦.૦૦ કરોડ      

સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને મોલ      રૃ. ૫૭.૦૦ કરોડ      

સીટી સિવિક સેન્ટર અને લાઈબ્રેરી       રૃ. ૨૩.૫૦ કરોડ      

ફાયર અને ઇમર્જન્સી સેવાઓ   રૃ. ૧૯.૫૦ કરોડ      

તળાવોનું ડેવલોપમેન્ટ  રૃ. ૦૭.૦૦ કરોડ      

 

અમદાવાદની તર્જ પર શહેરનો વિકાસ થશે

અમે અમદાવાદની થીમ પર સુરેન્દ્રનગરનો વિકાસ કરવા માંગીએ છીએ. આ બજેટમાં ભૌતિક સુવિધાઓની સાથે સામાજિક માળખાને મજબૂત કરવા પર ધ્યાન અપાયું છે. વિકસિત ભારત અંતર્ગત શહેરના દરેક વર્ગના લોકો અને નાના વેપારીઓને આધુનિક સુવિધાઓનો લાભ મળે તે અમારો મુખ્ય લક્ષ્યાંક છે.

- ડો. નવનાથ ગૌવ્હાણે (કમિશનર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા)