Get The App

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે 1 - image


Surat News: સુરતના કમલા દરવાજા વિસ્તારમાં આજે (28મી ફેબ્રુઆરી) સવારે આગની મોટી ઘટના સામે આવી છે. અહીં આવેલી મિલેનિયમ માર્કેટ-1 માં સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે.

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે 2 - image

4 ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે

મળતી માહિતી અનુસાર, આગ લાગવાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી હતી. સુરતના અલગ-અલગ 4 ફાયર સ્ટેશનની ગાડીઓ અને ફાઈટર જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હોવાથી અને આગ ઝડપથી ફેલાતી હોવાથી બચાવ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.

સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે 3 - image

આ પણ વાંચો: નસવાડીમાં જી.બી. સોલંકીનું ભવ્ય સન્માન, 6 બેઠકો બિનહરીફ થવાનો હુંકાર

સુરક્ષાના કારણોસર 3600 દુકાનો બંધ કરાવાઈ

ફાયર ઓફિસરના જણાવ્યાનુસાર, પ્રાથમિક તબક્કે 2 થી 3 દુકાનો આગની ચપેટમાં આવી હતી. જોકે, મિલેનિયમ માર્કેટમાં અંદાજે 3600 જેટલી દુકાનો આવેલી હોવાથી અને જાનહાનિ ટાળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક આખું માર્કેટ ખાલી કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે સમગ્ર માર્કેટનો વેપાર બંધ કરાવી દેવાયો છે.

આગને કારણે કાપડ બજારના વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં રહેલા કરોડો રૂપિયાના માલ-સામાનને નુકસાન થવાની ભીતિએ વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. આસપાસના અન્ય બજારોમાં પણ આગની જ્વાળાઓ જોઈને ભય ફેલાયો છે. હાલમાં ફાયર વિભાગની ટીમ હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય આધુનિક સાધનો વડે આગ પર કાબૂ મેળવવા સતત મથામણ કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.