Water Tank Collapse Incident In Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. ગુજરાત સરકારની છબી ખરડાવનાર આ ઘટનામાં હવે માત્ર ટેકનિકલ ખામી જ નહીં, પરંતુ મોટા પાયે આર્થિક ગેરરીતિઓની ગંધ આવતા તપાસની દિશા બદલાઈ છે. આ કૌભાંડની જડ સુધી પહોંચવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની મદદ લેવામાં આવી રહી છે.
કૌભાંડ માત્ર બાંધકામ પૂરતું નહીં, નાણાકીય હેરાફેરીની આશંકા
SITની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડ માત્ર નબળા મટીરિયલ પૂરતું મર્યાદિત નથી. આરોપીઓએ નાણાકીય વ્યવહારોમાં પણ ગોલમાલ કરી હોવાની આશંકા છે. જેને લઈને નિમણૂક કરાયેલા CA ટેન્ડર પ્રક્રિયા, કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા તમામ નાણાકીય વ્યવહારો અને બેન્ક ડિટેલ્સની ઝીણવટભરી તપાસ કરશે. સરકારી ગ્રાન્ટમાંથી ખરેખર કેટલો ખર્ચ મટીરિયલ પાછળ થયો અને કેટલી રકમની હેરાફેરી થઈ તેની વિગતો બહાર લાવવામાં આવશે.
કોન્ટ્રાક્ટરે બનાવેલી અન્ય 13 ટાંકીઓ શંકાના દાયરામાં
તપાસમાં સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આ જ વિવાદિત કોન્ટ્રાક્ટરે સાઉથ ઝોન વિસ્તારમાં અન્ય 13 જેટલી પાણીની ટાંકીઓનું પણ નિર્માણ કર્યું છે. તડકેશ્વરની ટાંકી તૂટ્યા બાદ હવે આ 13 ટાંકીઓની મજબૂતી સામે પણ સવાલો ઊઠ્યા છે. વિજિલન્સની ટીમો દ્વારા આ તમામ ટાંકીઓના બાંધકામમાં વપરાયેલા મટીરિયલના સેમ્પલ લઈને ટેકનિકલ ટેસ્ટિંગ કરવાની શક્યતા છે, જેથી ભવિષ્યમાં કોઈ જાનહાની ટાળી શકાય.
ઉલ્લેખનીય છે કે, ટાંકી કૌભાંડમાં પોલીસની સાથે વિજિલન્સની ટીમ પણ સક્રિય થઈ છે. આરોપીઓએ કયા અધિકારીઓના મેળાપીપણામાં આટલો મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે તે દિશામાં પણ કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

પાંચની ધરપકડ, ત્રણ અધિકારી સસ્પેન્ડ
આ ઘટના બાદ પોલીસે મોટી કાર્યવાહી કરીને 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાં મુખ્ય કોન્ટ્રાક્ટર જ્યંતી પટેલ અને અંબાલાલ પટેલ તેમજ સુપરવાઇઝર જસમીન પટેલનો સમાવેશ થાય છે. વધુમાં સ્ટાફ સુપરવાઇઝર અને અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ સગા-સંબંધીઓ હતા અને તેઓએ મળીને આ પ્રોજેક્ટમાં ગેરરીતિ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. GWSSBના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર અંકિત ગરાસિયા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજનીકાંત ચૌધરી અને ડેપ્યુટી એન્જિનિયર જય ચૌધરીનો સમાવેશ થાય છે.


