સુરત પાલિકામાં ભ્રષ્ટાચારનો 'ઝોન'!: લિંબાયત ઝોનલ ચીફ અને ડે. કમિશનર સ્વાતિ દેસાઈ વિરુદ્ધ તપાસની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Municipal Corruption Scandal: સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના એક પછી એક કિસ્સાઓ બહાર આવતા વહીવટી તંત્રની છબી ખરડાઈ છે. લિંબાયત ઝોનમાં લાંચ પ્રકરણ બાદ હવે વિપક્ષે સીધું નિશાન ઝોનલ ચીફ પર સાધ્યું છે. બીજી તરફ, રાજીનામું આપીને પરત ખેંચનારા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈના કથિત કૌભાંડોની તપાસ માટે પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવતા પાલિકામાં ગરમાવો આવી ગયો છે.
લિંબાયત ઝોન: ભ્રષ્ટાચારીઓને છાવર્યાનો આક્ષેપ
લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર અને તેમના એજન્ટ વિરુદ્ધ એ.સી.બી.માં ગુનો નોંધાયા બાદ આખા ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે, ઝોનલ ચીફ નિલેશ પટેલ ભ્રષ્ટાચાર અટકાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપવા બદલ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ નિલેશ પટેલ સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

ડે. કમિશનર સ્વાતિ દેસાઈનું 'અભી બોલા અભી ફોક'
પાલિકામાં સૌથી વધુ ચર્ચા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈની થઈ રહી છે. હજીરાના ઉદ્યોગોને અપાતા પાણીના ભાવ નક્કી કરવામાં ગેરરીતિ અને ખજોદ કચરા કૌભાંડમાં ખોટા બિલો પાસ કરવાના ગંભીર આક્ષેપો તેમની સામે થયા છે. અગાઉ 'પારિવારિક કારણો' આપી રાજીનામું આપી દેનારા સ્વાતિ દેસાઈએ અચાનક રાજીનામું પરત ખેંચી લેતા અનેક સવાલો ઉભા થયા છે. વિપક્ષે આ મામલે શિક્ષાત્મક પગલાં લેવાની માંગણી દોહરાવી છે.
આ પણ વાંચો: સુરતમાં કચરા કૌભાંડ વચ્ચે SMCના ડે.કમિશનરનું રાજીનામું, વિપક્ષે તપાસની માગ ઉઠાવી
વિપક્ષી નેતાના આકરા તેવર
પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને લખેલા પત્રોમાં સ્પષ્ટ કર્યું છે કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનાત્મક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.








