Gujarat High Court: સુરત જિલ્લાના માંડવીના છ વ્યક્તિ સામે નોંધાયેલી FIR અને તે પછીની કાર્યવાહી રદ કરવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. જેમાં એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે દાખલ કરાયેલી આ અરજીમાં અરજદારોએ રજૂઆત કરી છે કે, પરિવારના એક સભ્ય સાથે જોડાયેલા અલગ વિવાદ બાદ તેઓને "વેરભાવ અને પૂર્વઆયોજિત" રીતે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
માંડવી ધર્મપરિવર્તન વિવાદ
આ કેસની શરૂઆત 16 મે 2025ના રોજ એક મહિલા દ્વારા ડૉક્ટર અંકિતભાઈ ચૌધરી વિરુદ્ધ નોંધાવવામાં આવેલી FIRથી થઈ હતી, જેમાં છેતરપિંડીથી શારીરિક સંબંધ બાંધવા(કલમ 69, BNS) અને ગુનાઇત ધમકી (કલમ 351(3), BNS)ના આરોપો લગાવાયા હતા. મુખ્ય આરોપીને આગોતરા જામીન મળ્યા અને ચાર્જશીટ દાખલ થયા બાદ, પોલીસે ફરિયાદીના પૂરક નિવેદનના આધારે "વધુ તપાસ" શરૂ કરી હતી. આ તપાસને અંતે ડૉક્ટરના પરિવારના સભ્યો, જેમાં તેમના માતા-પિતા, બહેનો અને કૌટુંબિક મિત્રોનો સમાવેશ થાય છે, તેમની સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003ની ગંભીર કલમો 4(1), 4(2) અને 4(C)(1)નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અરજી
અરજદાર માતા, પિતા, બહેનોની દલીલ છે કે, તપાસ અધિકારીએ અતિઉત્સાહમાં આવીને બે અલગ-અલગ દિશાઓમાં 'એક નિષ્ફળ સંબંધનો આરોપ' અને ત્યારબાદ કરાયેલો 'ધર્મપરિવર્તનનો દાવા'ને એક તપાસમાં ભેગા કરી દીધા છે, જે માત્ર સમગ્ર પરિવારને હેરાન કરવા માટે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, એડવોકેટે ધ્યાન દોર્યું હતું કે આ કાયદાની કલમ 6 મુજબ જરૂરી એવી જિલ્લા મેજિસ્ટ્રેટની અનિવાર્ય પૂર્વ મંજૂરી મેળવવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે રદબાતલ ઠરે છે.
અરજીમાં મુખ્યત્વે હાઈકોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, આ FIR અને તે સંબંધિત તમામ કાર્યવાહી રદ કરવામાં આવે. જેમાં 12 અને 15 ડિસેમ્બર 2025ના ન્યાયિક આદેશોનો પણ સમાવેશ થાય છે, જેના દ્વારા ધર્મપરિવર્તનના આરોપો ઉમેરવાની મંજૂરી અપાઈ હતી. આ સાથે જ, અરજીનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી માંડવી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી વધુ તપાસ અને અન્ય કાર્યવાહી પર સ્ટે(રોક) લગાવવાની માગ પણ કરવામાં આવી છે.
શું હતો સમગ્ર કેસ?
ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ, માંડવીમાં દવાખાનું ચલાવતા ડો. અંકિત રામજીભાઈ ચૌધરી(ઉં.વ. 30)એ પતિની સારવાર માટે આવતી એક મહિલાને કથિત રીતે નિશાન બનાવી હતી. જેમાં એવો આક્ષેપ છે કે, ડૉક્ટરે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેણે મહિલા સામે એવી શરત મૂકી હોવાનું કહેવાય છે કે જો તે તેના આખા પરિવારનું ધર્મપરિવર્તન કરાવે તો જ તે તેની સાથે લગ્ન કરશે. આ ઘટનાઓ બાદ મહિલાએ 16 મે 2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં ડૉ. અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન ડૉ. અંકિતના પિતા રામજીભાઈ ડુબલભાઈ ચૌધરી (ઉં.વ. 56)ની સંડોવણી પણ બહાર આવી હોવાનો દાવો કરાયો છે. એવો દાવો છે કે, રામજીભાઈ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય છે અને ખ્રિસ્તી ધર્મમાં 'પાસ્ટર' તરીકે પણ કાર્યરત છે. વધુમાં એવો પણ આક્ષેપ છે કે, વર્ષ 2014માં તેમણે 'ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરી હતી, જેના તેઓ હાલ પ્રમુખ છે.


