Get The App

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની 'લોલીપોપ' આપી?

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની 'લોલીપોપ' આપી? 1 - image

Surat News : રાજ્યમાં ડિગ્રી વગર આયુર્વેદના નામે પ્રેક્ટિસ કરતા નકલી ડૉક્ટરો અને લેભાગુ તત્ત્વો વારંવાર ઉજાગર થઈ રહ્યા છે, પરંતુ સરકાર તેમની સામે ખાસ કોઈ કડક પગલાં લેતી નથી. જેથી હવે આયુર્વેદિક ડૉક્ટરોએ પોતે આવા તત્ત્વો સામે મોરચો માંડ્યો છે. સુરતના કામરેજમાં પ્રદીપ જોટંગીયા જેવા તત્ત્વો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ સામે આવી છે, જે બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે. વિરોધ ઉગ્ર બનતા આખરે હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે.

પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા આચારસંહિતા લાગુ થઈ ગઈ હોવાથી સરકાર આ મુદ્દે હાલ કંઈ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી આયુર્વેદિક ડૉક્ટરોને હૈયાધારણાનો ડોઝ આપ્યો છે અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી તથા કાયદામાં ફેરફાર કરવામાં આવશે તેવી વાત કરી છે.

આયુર્વેદિક ડૉક્ટરોનો વિરોધ અને ગંભીર આક્ષેપો

છેલ્લા કેટલાક સમયથી આયુર્વેદના નામે લોકોના જીવ સાથે રમત રમતા લેભાગુ તત્ત્વો સામે ક્વોલિફાઇડ આયુર્વેદિક ડૉક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામરેજ સ્થિત આશ્રમ ચલાવતા પ્રદીપ જોટંગીયા વિરુદ્ધ ડૉક્ટરોએ લેખિત રજૂઆત કરી છે. નોંધનીય છે કે પ્રદીપ જોટંગીયા અગાઉ નકલી નોટના કેસમાં ઝડપાયા હતા અને હાલ જેલમાં છે, છતાં તેમના આશ્રમમાં મેડિકલ ડિગ્રી વગર સારવાર આપવાના દાવા થઈ રહ્યા છે. શરીરમાં સોય ભોંકવી અને દોરા-ધાગા જેવી સારવારના વીડિયો સામે આવ્યા છે, જેમાં દર્દીઓના મોતના કિસ્સા પણ નોંધાયા હોવાનો આક્ષેપ છે.

આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની 'લોલીપોપ' આપી? 2 - image

આચારસંહિતાનું બહાનું કે મજબૂરી?

આયુર્વેદિક ડૉક્ટરોના ઉગ્ર વિરોધ બાદ સરકારે આશ્વાસન તો આપ્યું છે, પરંતુ કાર્યવાહી માટે 'આચારસંહિતા' પૂર્ણ થવાની રાહ જોવાની વાત કરી છે. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે, "ચૂંટણી આચારસંહિતા અમલી હોવાથી હાલ તપાસ અટકી છે, પરંતુ તે પૂર્ણ થતા જ કડક ડ્રાઈવ શરૂ કરાશે અને બજેટ સત્રમાં કાયદાકીય સુધારા લાવી નકલી ડૉક્ટરો પર સકંજો કસવામાં આવશે."

ત્યારે સવાલ એ થાય છે કે આયુર્વેદના નામે ગોરખધંધા ચલાવતા પ્રદીપ જોટંગીયા જેવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે, છતાં હજુ સુધી સરકારે કહેવાતા કડક પગલાં લીધા નથી. અને હવે આચારસંહિતાના બહાને મુદ્દાને ખો આપવાના અને આયુર્વેદિક ડૉક્ટરોને લોલિપોપ આપવાના પ્રયાસ થઈ રહ્યા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

સરકારની આગામી રણનીતિ

રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે હવે પછી કોઈપણ લેભાગુ તત્ત્વને ચલાવી લેવામાં આવશે નહીં. જે મુખ્ય ફેરફારોની જાહેરાત કરાઈ છે તેમાં નકલી ડૉક્ટરો સામે આગામી બજેટમાં કડક દંડ અને જેલની જોગવાઈ સાથેનો સુધારો કરવો, તમામ આયુર્વેદિક ડૉક્ટરો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું અને ડિગ્રી વગરના ક્લિનિક્સ સીલ કરવા જેવી જોગવાઈઓ કરાશે. આ સાથે સર્પદંશ જેવી કટોકટીમાં અંધશ્રદ્ધાને બદલે સીધા હોસ્પિટલ પહોંચવાની મંત્રીએ સલાહ આપી છે.

આ પણ વાંચો: વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફરી વળ્યું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ

લાંબા સમયથી ચાલતા આ "મોતના ખેલ" સામે જ્યારે પ્રોફેશનલ ડૉક્ટરો રસ્તા પર ઉતર્યા, ત્યારે જઈને તંત્ર હરકતમાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આચારસંહિતા બાદ ખરેખર નકલી ડૉક્ટરો જેલના સળિયા પાછળ જાય છે કે પછી આ માત્ર ચૂંટણી ટાણે આપવામાં આવેલું આશ્વાસન બનીને રહી જાય છે.