Surat Builder Tushar Ghelani Case: સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બિલ્ડરને આપઘાત માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે તેની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં બ્લેકમેલિંગ અને મિલકતો પડાવી લેવાની વિગતો સપાટી પર આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
શું હતો સમગ્ર વિવાદ?
મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીએ પહેલી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના નિવાસસ્થાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. તેના મોત બાદ પરિવાર અને એક મહિલા મિત્ર સામસામે આવી ગયા હતા. તુષાર ઘેલાણીના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો કે, પૂનમ ભાદોરિયાએ તુષારભાઈને સતત બ્લેકમેલ કરી રહી હતી અને તેમની પાસેથી દુકાન સહિતની કિંમતી મિલકતો પડાવી લીધી હતી. તુષારભાઈ આ સંબંધોનો અંત લાવવા માંગતા હતા, પરંતુ મહિલા પીછો છોડતી નહોતી. મહિલા મિત્રએ દીકરીના લગ્ન પ્રસંગે હોબાળો કરી બદનામ કરવાની ધમકી અપાતા તુષારભાઈએ અંતિમ પગલું ભર્યું.

બીજી તરફ, અટકાયત કરાયેલી મહિલાએ પણ પોલીસમાં અરજી કરી ચોંકાવનારા દાવા કર્યા હતા. તેણે આ ઘટનાને આપઘાત નહીં પણ 'મર્ડર' ગણાવ્યું હતું. આક્ષેપ કર્યો હતો કે પરિવાર મૃતક તુષાર ઘેલાણીનો ઉપયોગ માત્ર 'એટીએમ મશીન' તરીકે કરતો હતો અને તેમને માન-સન્માન આપતો નહોતો. આ ઉપરંત તેણે એવો પણ દાવો કર્યો હતો કે દીકરીના લગ્ન માટે તુષારભાઈએ તેની માતા પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.
પોલીસ તપાસ અને કાર્યવાહી.
સુરતના એસીપી ઝેડ.આર.દેસાઈના જણાવ્યાનુસાર, આ તપાસમાં પૂનમબેન નામની મહિલા મુખ્ય પાત્ર તરીકે સામે આવી છે, જેમના પર મૃતકને માનસિક અને આર્થિક રીતે ભારે દબાણ આપવાનો આરોપ છે. તપાસમાં સ્કૂલ સાથે સંકળાયેલા આર્થિક વ્યવહારો બહાર આવ્યા છે, જેમાં પૂનમબેન કોઈપણ દસ્તાવેજી આર્થિક રોકાણ વગર મેનેજિંગ પાર્ટનર તરીકે કામ કરતાં હતાં અને નફામાં ભાગ મેળવતાં હતાં. એક શંકાસ્પદ પ્રોપર્ટી ટ્રાન્સફર પર પણ પ્રકાશ પાડ્યો છે, જેમાં તુષારે જોલી આર્કેડમાં આવેલી બે દુકાનો, જેની અંદાજિત કિંમત 1.06 કરોડ છે, એ કોઈપણ બેંકિંગ વ્યવહાર વગર પૂનમના નામે કરી દીધી હતી.' જો કે, હાલ પોલીસે મહિલા સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે.


