સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| મૃતક જય દલાલ ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપ પ્રમુખ |
Surat BJP Leader Murdered: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતાં ચકચાર મચી ગઈ છે.

જય દલાલના માતા લિંબાયત ભાજપના અગ્રણી મહિલા કાર્યકર
મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબહેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબહેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડિંડોલી વૉર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો. આ હત્યાની ઘટના બાદથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી રહી છે. પરિજનો હત્યારાઓને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે.
કાયદો અને વ્યવસ્થા સામે ફરી સવાલ
સત્તાધારી પક્ષના જ એક યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સમગ્ર સુરત ભાજપ અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી છે. આ હત્યાને પગલે સામાન્ય જનતામાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સુરતની કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે.
માતાએ હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી
સુરતના ઉધના ખાતે ભાજપના યુવા અગ્રણી જય દલાલની હત્યા મામલે મૃતકની માતા જયશ્રીબહેન દલાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ન્યાયની અપીલ કરતાં પ્રશાસન પાસે હત્યારાઓને ફાંસીની સજા આપવાની માગ કરી છે. જયશ્રીબહેને રડતાં અવાજે જણાવ્યું કે, તેમનો 21 વર્ષનો એકનો એક પુત્ર જય કોઈ મિત્રનો ફોન આવતા રાત્રે સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેમને ફોન આવ્યો કે, જયને ગંભીર ઘા વાગ્યા છે અને હૉસ્પિટલ ખસેડાયો છે. હૉસ્પિટલ પહોંચતા સુધીમાં તે દમ તોડી ચૂક્યો હતો.
મિલિન ચકલી-પંકજ પાટીલ પર પાસામાંથી બહાર આવી હત્યાનો દાવો
માતાના આક્ષેપ અનુસાર, મિલિન ચકલી અને પંકજ પાટીલ સહિતના ત્રણ આરોપીઓએ તેમના પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આરોપીઓ તાજેતરમાં જ પાસામાંથી બહાર આવ્યા છે. તેમને એવી આશંકા હતી કે, જયના કારણે તેમને જેલ થઈ હતી. જેને પગલે અદાવત રાખીને આ ક્રૂર હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ભયભીત માતાએ માગ કરી છે કે, પ્રશાસન આ ગુનેગારોને ફાંસી આપે જેથી અન્ય કોઈ માતાનો દીકરો ન છીનવાય.









