- શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત, સીસીટીવીથી મોનિટરિંગ કરાશે
- સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન માટે રાજયમાંથી લાખો ભક્તો ઉમટી પડશે
નડિયાદ : મધ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ નડિયાદ સંતરામ મંદિર ખાતે આજે માઘી પૂનમના પવિત્ર અવસરે પરંપરાગત રીતે ભવ્ય સાકરવર્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો જૂની આ પરંપરાને પગલે આજે આખું નડિયાદ સંતરામમય બનશે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ મહોત્સવને લઈને મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ સુરક્ષા અને વ્યવસ્થાના આયોજન કરી દેવામાં આવ્યા છે.
નડિયાદના સંતરામ મહારાજની તપોભૂમિ પર આજે મહા સુદ પૂનમ એટલે કે માઘી પૂનમના દિવસે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાશે. સંતરામ મંદિરમાં થતી સાકરવર્ષાના દર્શન કરવા માટે માત્ર ખેડા જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ દિવસે મંદિરમાં વિશિષ્ટ પૂજા-અર્ચના કરવામાં આવે છે. સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. જેઓ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાકરવર્ષાના પ્રતિક રૂપે ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે મંદિરમાં સાકર અર્પણ કરે છે. સાંજના સમયે જ્યારે મુખ્ય આરતી પૂર્ણ થાય છે. ત્યારે મંદિરના શિખર અને પરિસરમાંથી હજારો કિલો સાકરનો પ્રસાદ ભક્તો પર વરસાવવામાં આવે છે.
આ ઉત્સવ દરમિયાન સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવે છે. સાકરવર્ષા દરમિયાન ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને નડિયાદ પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંદિર તરફ આવતા તમામ રસ્તાઓ પર ટ્રાફિકનું નિયમન કરવામાં આવશે. ૧૦૦ થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ભીડને કાબૂમાં રાખવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.


