Gujarat

રશિયાએ ૧૩૦ બસો તૈનાત કરી છે પણ હોસ્ટેલ છોડવાની મંજૂરી મળતી નથી

By GS Team
4 Mar 20222 mins read
This article was originally published on 4 Mar 2022
રશિયાએ ૧૩૦ બસો તૈનાત કરી છે પણ હોસ્ટેલ છોડવાની મંજૂરી  મળતી નથી

વડોદરાઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ શરુ થયા બાદ વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ હેમખેમ વડોદરા પાછા ફરી રહ્યા છે.જોકે તરસાલી વિસ્તારમાં રહેતો અને યુક્રેનના સુમી સ્ટેટમાં મેડિકલનો અભ્યાસ કરતો રિતિક રાજ નામનો વિદ્યાર્થી યુધ્ધ શરુ થયાના ૧૦ દિવસ પછી પણ સુમી સ્ટેટમાં જ ફસાયેલો છે.

રિતિકની સાથે સાથે ગુજરાતના વિવિધ શહેરોના ૩૦ જેટલા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે.રિતિકના પિતા ખેમચંદભાઈએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, આજે તે મારી સાથે વાત કરતો હતો ત્યારે જ નજીકમાં બ્લાસ્ટ થયો હતો.ફોન પર મને પણ અવાજ સંભળાયો હતો.તેનો મોટાભાગનો સમય હોસ્ટેલના બેઝમેન્ટમાં જ જાય છે.જોકે રશિયાના સતત હુમલા બાદ હવે તે રહે છે ત્યાં ગેસ-ઈલેક્ટ્રિસિટી અને પાણીનો પૂરવઠો ખોરવાઈ ગયો છે. વિદ્યાર્થીઓ માટે હવે ભોજન અને પીવાના પાણીની સમસ્યા  ઉભી થઈ છે.

ખેમચંદભાઈના કહેવા પ્રમાણે રિતિકે મને જે મેસેજ મોકલ્યો છે તે પ્રમાણે રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા માટે ૧૩૦ બસો બોર્ડર પર તૈનાત કરી રાખી છે. અહીંયા ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓ પણ છે.પરંતુ યુક્રેનના સત્તાધીશો તથા યુક્રેન સ્થિત ભારતની એમ્બેસી વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડવાની મંજૂરી આપી રહ્યા નથી.સત્તાધીશો એવુ કારણ આગળ ધરી રહ્યા છે કે, જો વિદ્યાર્થીઓને કશું થઈ જાય તો કોણ જવાબદારી લેશે અને અમે તેમની પરવાનગી વગર ટ્રાવેલ કરી શકીએ તેમ નથી.

રિતિકનુ કહેવુ છે કે, હવે ભોજન અને પાણી વગર લાંબુ ખેંચવુ શક્ય નથી અને અમને અહીંથી ક્યારે રેસ્કયુ કરવામાં આવશે તે નક્કી નથી. વિદ્યાર્થીઓએ એમ્બેસીમાં પણ ફોન કર્યા છે.

રિતિકના પરિવારજનોની ચિંતા યથાવત છે.રિતિકના પિતા કહે છે કે, વીજળી પૂરવઠો ખોરવાતો હોવાથી હવે તેની સાથે લાંબી વાત પણ થતી નથી.મોટા ભાગે તે મેસેજ મોકલીને અમને સુરક્ષિત હોવાની જાણ કરી દે છે.