Gujarat

શાળા સંચાલકોના નિયમોથી વિદ્યાર્થીઓને હેરાનગતિ : સમયમાં છૂટછાટ આપવા માગ

By GS TEAM
2 Jan 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરની કેટલીક શાળાઓ સમયસર શાળાના દરવાજા બંધ કરી દઈ મોડા આવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં દેતા નથી ત્યારે શિયાળાની ઋતુમાં 10-15 મિનિટ મોડા પડે તો તેઓને પ્રવેશ આપવો જોઈએ તેવી માંગણી વકીલ મંડળના પૂર્વ સભ્ય ભાવિન વ્યાસ અને કુમકુમ મજમુદાર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાળા સંચાલકોના નિયમોથી વિદ્યાર્થીઓને હેરાનગતિ : સમયમાં છૂટછાટ આપવા માગ

Vadodara : વડોદરા શહેરની કેટલીક શાળાઓ સમયસર શાળાના દરવાજા બંધ કરી દઈ મોડા આવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં દેતા નથી ત્યારે શિયાળાની ઋતુમાં 10-15 મિનિટ મોડા પડે તો તેઓને પ્રવેશ આપવો જોઈએ તેવી માંગણી વકીલ મંડળના પૂર્વ સભ્ય ભાવિન વ્યાસ અને કુમકુમ મજમુદાર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. 

તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી વડોદરા શહેરની વિવિધ શાળાઓ સામે વારંવાર ફરિયાદો મળી રહી છે કે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ જો માત્ર એક મિનિટથી લઈને પાંચ કે દસ મિનિટ મોડા આવે તો પણ શાળાના ગેટ બંધ કરી દેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવતો નથી. કેટલીક શાળાઓમાં તો વાલીઓને પણ વિદ્યાર્થીઓને પરત લઈ જવા મજબૂર કરવામાં આવે છે. વડોદરા શહેરમાં મોટા ભાગની શાળા સંચાલકો આર્થિક રીતે સક્ષમ તથા પ્રભાવશાળી હોવાના કારણે પોતાના મનગમતા નિયમો અમલમાં મૂકી રહ્યા છે, જે સંપૂર્ણપણે અન્યાયકારક છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સ્વેટર બાબતે પણ અમે વિરોધ નોંધાવ્યો હતો, જેના અનુસંધાને આપ સાહેબની કચેરી તથા સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો. એ જ રીતે હાલમાં કડકડતી શિયાળાની ઠંડીમાં માસુમ અને કુમળા બાળકોને શાળામાં પ્રવેશ ન આપવો એ માનવતા વિરુદ્ધનું કૃત્ય છે.

ભારતના બંધારણમાં બાળકોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. બાળકોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે અને તેમને શિક્ષણનો અધિકાર (Right to Education) આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા બાળકોને ભણવા માટે સહાય પણ આપવામાં આવે છે. ત્યારે શાળા સંચાલકો મોલ કે મલ્ટિપ્લેક્સના આયોજકોની જેમ અતિશય કડક નિયમો રાખી બાળકોને શિક્ષણથી વંચિત રાખે છે, તે બંધારણનું ખુલ્લેઆમ અપમાન છે.