Vadodara : ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે જ પાલિકા તંત્ર દ્વારા આચારસંહિતાનો કડક અમલ શરૂ કરાયો હતો. અગાઉ શહેરમાં ઠેક ઠેકાણે લગાવવામાં આવેલા ભાજપના ઝંડા અને કમળના બેનરો પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા, ગાંધીનગર સહિત દેશભરમાં ભાજપ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે અગાઉ ભાજપના નિશાન કમળના ઝંડા તથા હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા હતા. જેનાથી શહેરની આનબાન શાન ઝંખવાતી હતી. આ અંગે કેટલાક બુદ્ધિજીવીઓએ તંત્ર સમક્ષ ફરિયાદો પણ કરી હોવાનું કહેવાય છે. અરે બીજી બાજુ ભાજપના સ્થાપના દિવસે જ ગઈકાલે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ શહેરમાં ફરી વળી હતી. ઠેક ઠેકાણે ટ્રીગાર્ડ પર લગાવાયેલા ભાજપના ચૂંટણી ચિન્હ કમળના ઝંડા, તથા જુદા જુદા વિસ્તારમાં લગાવેલા ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનવાળા બેનરો પણ દબાણ શાખાની ટીમ દ્વારા ઉતારી લેવાયા હતા.
જોકે પાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે સરકારી તંત્ર દ્વારા આચાર સંહિતાના નિયમોના પાલન સંદર્ભે ભાજપના ઝંડા, અને બેનરો ઉતારી લેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.


