Gujarat

વીમાદારની વિધવા-વારસોને ક્લેઇમ ચૂકવી આપવા સ્ટેટ કમિશનનો LICને હુકમ

By GS Team
22 Jan 20222 mins read
This article was originally published on 22 Jan 2022
વીમાદારની વિધવા-વારસોને ક્લેઇમ ચૂકવી આપવા સ્ટેટ કમિશનનો LICને હુકમ

સુરત


વીમો લેતા અગાઉ ડાયાબીટીઝ-હાયપરટેન્શન હોવાથી ક્લેઇમ નકાર્યો હતોઃ અપીલમાં આઠ વર્ષ બગાડતા વધારાનું ૫.૭૬ લાખ વ્યાજ ચૂકવવું પડશે


વીમાદારની વિધવા-વારસોના કુલ રૃ.8 લાખના ક્લેઈમને નકારનાર વીમા કંપનીને વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા કરેલા સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાદાની કાયદેસરતાને પડકારતી એલઆઈસીની અપીલને સ્ટેટ કમિશને નકારી કાઢી સુરત ગ્રાહક કોર્ટના ચુકાદાને કાયદેસરનો ઠેરવી કાયમ રાખ્યો છે.અલબત્ત વીમા કંપનીએ આઠ વર્ષ અપીલમાં સમય વ્યતીત કરતાં વાર્ષિક 9 ટકા લેખે વધારા 5.76 લાખ ચુકવવાની નોબત આવી પડી છે.

મૃત્તક વીમાદાર હસમુખલાલ મૂળજીભાઈ મહેતા વર્ષ-2006 તથા 2007ની સાલથી રૃ.5 લાખ તથા 3 લાખના જીવન આનંદ તરીકે ઓળખાતો જીવન વીમા પોલીસી ઉતરાવી હતી. દરમિયાન એપ્રિલ-2008માં વીમાદાર હસમુખલાલ મહેતાની તબિયત બગાડતા તા.22-4-08 દરમિયાન બાપ્સ હોસ્પિટલમાં દાખલ થઈને અલગ અલગ ટેસ્ટ કરાવ્યા હતા. પરંતુ સીવીયર હાર્ટ એટેક આવતા તેમનું સારવાર દરમિયાન જ નિધન થયું હતુ. મૃત્તક વીમાદારના વિધવા પત્ની ભાનુબેન મહેતા તથા ચાર સંતાનોએ રૃ.5 લાખ અને 3 લાખની જીવનવીમા પોલીસી હેઠળ મળવાપાત્ર રકમ માટે વીમા કંપની પાસે ક્લેઈમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ મૃત્તક વીમાદારને 20 વર્ષથી ડાયાબીટીઝ તથા 3 વર્ષથી હાયપરટેન્શનની બિમારી અગાઉની હોવાની હકીકત છુપાવી હોઈ ક્લેઈમ નકારી કાઢ્યો હતો.

જેથી ફરિયાદી ભાનુબેન મહેતા તથા તેમના સંતાનોએ શ્રેયશ દેસાઈ મારફતે ગ્રાહક સેવામાં ખામી બદલ વીમા કંપની વિરુધ્ધ સુરત ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી. સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે માત્ર મેડીકલ પેપર્સના નોંધના આધારે અગાઉથી બિમારી હોવાનું જણાવી વીમા કંપનીએ આવી નોંધ કરનાર મેડીકલ ઓફીસર કે સ્ટાફની એફીડેવિટ કરાવવી જરૃરી છે. પુરતા પુરાવા વિના માત્ર ખોટા અનુમાનના આધારે વીમા કંપની ક્લેઈમ નકારી શકે નહીં. જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી ફરિયાદી બંને જીવનવીમા પોલીસીની કુલ રૃ.8 લાખની રકમ વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત  અને ફરિયાદખર્ચ હાલાકી બદલ રૃ.15 હજાર ચુકવવા એલઆઈસીને હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈને વીમા કંપનીએ સ્ટેટ કમિશનમાં અપીલ કરીને નીચલી કોર્ટનો હુકમ રદ કરવા માંગ કરી હતી.જેને સ્ટેટ કમિશનના પ્રિસાઈડીંગ મેમ્બર ઉષાબેન જાનીએ નકારી કાઢી સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ચુકાદાને કાયદેસરનો ઠેરવી કાયમ રાખી વીમા કંપનીની અપીલને ફગાવી દીધી હતી.