એમ.એસ.યુનિ.ના કેટલાક પૂર્વ વીસી પાસે પણ પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવ નહોતો

વડોદરાઃ વલ્લભ વિદ્યાનગરની એસ પી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.શિરિષ કુલકર્ણીની નિમણૂંક સુપ્રીમ કોર્ટે રદ કરી છે.જેની પાછળનુ મહત્વનુ કારણ એ છે કે, યુજીસીના નિયમ પ્રમાણે વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂંક માટે પ્રોફેસર તરીકે જરુરી ૧૦ વર્ષનો અનુભવ પ્રો.કુલકર્ણી પાસે નહોતો.
જોકે આ જ માપદંડને ગણતરીમાં લેવામાં આવે તો એમ.એસ.યુનિવર્સિટીના અગાઉના સંખ્યાબંધ વાઈસ ચાન્સેલર પાસે પ્રોફેસર તરીકે ૧૦ વર્ષનો અનુભવનો અભાવ હતો.
જેમ કે ૧૯૯૫ થી ૧૯૯૮ દરમિયાન વાઈસ ચાન્સેલર રહેલા પદમા રામચંદ્રન તો પૂર્વ આઈએએસ અધિકારી હતા.એ પછી ૧૯૯૮ થી ૨૦૦૧ સુધી વાઈસ ચાન્સેલર રહેલા ડો.અનિલ કાણે પણ પ્રોફેસર તરીકેનો જરુરી અનુભવ ધરાવતા નહોતા.૨૦૦૫ થી ૨૦૦૮ દરમિયાન વાઈસ ચાન્સેલર તરીકે રહેલા ડો.મનોજ સોની અધ્યાપક તો હતા પણ તેમની પાસે ૧૦ વર્ષનો પ્રોફેસરનો અનુભવ નહોતો.
યુનિવર્સિટીના હાલના વાઈસ ચાન્સેલર પ્રો.વિજય શ્રીવાસ્તવ પાસે પણ પ્રોફેસર તરીકેનો સાત વર્ષનો અનુભવ છે.આમ તેમની પાસે પણ પ્રોફેસર તરીકેનો ૧૦ વર્ષનો અનુભવ નથી.આમ તેમની નિમણૂંક સામે પણ સવાલો ઉભા થઈ શકે છે.




