અમદાવાદમાં નિયમ મુજબ કૂતરાઓનું ખસીકરણ ન થતુ હોવાનો વિપક્ષનો આક્ષેપ

અમદાવાદ,બુધવાર,16 ફેબ્રુ,2022
અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાની સમસ્યા નિવારવા અવારનવાર
હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.મ્યુનિ.તંત્રે કૂતરાના ખસીકરણ અંગે જે
એજન્સીઓને કામગીરી સોંપી છે એ એજન્સીએ ટેન્ડરની શરત મુજબ કૂતરાનું ખસીકરણ કર્યુ
નથી.આમ છતાં એજન્સીઓ પાસેથી તંત્રે પેનલ્ટીની રકમ વસુલ ના કરતા તાકીદે પેનલ્ટીની
રકમ વસુલ કરવા માંગ કરાઈ છે.ખસીકરણનો ટારગેટ પુરો કરવા ઘરમાંથી કૂતરા લઈ જવાતા
હોવાનો પણ વિપક્ષ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે.
વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિ.તંત્રે
કૂતરાના ખસીકરણ મામલે જે એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે એ નિયમ મુજબ કૂતરાનું
ખસીકરણ કરતી નથી.ટેન્ડરની શરત મુજબ પહેલા વર્ષે ૨૭૦૦ અને બીજા વર્ષે ત્રિમાસિક
૨૪૦૦ કૂતરાનું ખસીકરણ કરવાનું થાય છે.ટેન્ડરની
શરત કરતા કૂતરાના ખસીકરણની ઓછી કામગીરી કરવામાં આવે તો પ્રતિ કૂતરા દીઠ સો રુપિયા
પેનલ્ટી વસુલવાની હતી.પરંતુ આ શરત માત્ર કાગળ ઉપર રહી છે.
ખસીકરણની કામગીરી ચાર એજન્સીઓને આપવામાં આવી છે.આ એજન્સીઓ
નિયમ મુજબ કામગીરી કરી શકી નથી.એનીમલ હેલ્થ ફાઉન્ડેશન પાસેથી પેનલ્ટી પેટે ૭૭૭૦, પીપલ ફોર એનિમલ
પાસેથી ૮૯ હજાર અને ડોગ રિચર્સ પાસેથી ૫૪ હજાર રુપિયા પેનલ્ટી પેટે વસુલવાના થાય
છે.એજન્સીઓ પાસેથી પેનલ્ટીની રકમ વસુલાઈ ના હોવાથી મ્યુનિ.તિજોરીને આર્થિક નુકસાન
થઈ રહ્યુ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.
વિપક્ષનેતાના આક્ષેપ મુજબ,કૂતરાના ખસીકરણ અંગે જે એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે
એ એજન્સી લોકોના ઘરમાં પાળેલા કૂતરા ખસીકરણ માટે લઈ જતી હોવાની ફરિયાદ પણ તેમને
મળી છે.આવી એજન્સી સામે મ્યુનિ.તંત્રે કડક કાર્યવાહી કરવી જોઈએ.




