Get The App

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું વાઢી નાખ્યું હતું

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું વાઢી નાખ્યું હતું 1 - image

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા કરતાં વધુ સમયથી કાયદાને થાપ આપીને નાસતા ફરતા ફાંસીની સજા પામેલા આરોપીને શોધી કાઢીને ઝડપી લીધો છે. વર્ષ 2013માં પેરોલ જમ્પ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી સતીષ રૂપારેલિયા (ઉર્ફે સંજય ઠક્કર)ને અમદાવાદની એક હોટેલમાં વર્ષ 1994માં થયેલી હત્યા તેમજ લૂંટના કેસમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

શું છે સમગ્ર મામલો

આ કેસની વિગત એવી છે કે 22 ઓક્ટોબર, 1994ના રોજ એક કાપડના વેપારીને ડિસ્કાઉન્ટ ભાવે કાપડના બહાને હોટેલમાં બોલાવવામાં આવ્યા હતો. જ્યાં આરોપીએ વેપારી પાસેથી રોકડ અને સોનાના દાગીના લૂંટી લીધા હતા. લૂંટ કર્યા બાદ ગુનાની ઓળખ છુપાવવા માટે આરોપીએ વેપારીનું માથું ધડથી અલગ કરી દીધું હતું.

આ પણ વાંચો: ગુજરાતના 26 લોકસભા સાંસદોએ પણ 384 કરોડની ગ્રાન્ટ મેળવી છતાં 82.47 કરોડ જ ખર્ચ્યા

કોર્ટે ફટકારી હતી ફાંસીની સજા

આ મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયા બાદ સેશન્સ કેસ નંબર 56/1995માં મુખ્ય આરોપી તરીકે સતીષ રૂપારેલિયા (ઉર્ફે સંજય ઠક્કર) સામે કેસ ચાલ્યો હતો. એપ્રિલ 2000માં અમદાવાદની એડિશનલ સિટી સેશન્સ કોર્ટે ભારતીય દંડ સંહિતા (I.P.C.) અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળ હત્યા, લૂંટ અને ગુનાઈત કાવતરાના આ કેસમાં તેને કસૂરવાર ઠેરવીને ફાંસીની સજા સંભળાવી હતી.

પેરોલ જમ્પ કરીને 13 વર્ષથી બદલતો હતો ઓળખ

જેલવાસ દરમિયાન આરોપી સતીષ રૂપારેલિયાને વર્ષ 2013માં પેરોલ પર કામચલાઉ મુક્તિ આપવામાં આવી હતી. જોકે, પેરોલની મુદત પૂરી થવા છતાં તેણે જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ ન કર્યું અને તે ફરાર થઈ ગયો હતો. છેલ્લા 13 વર્ષ દરમિયાન તેણે પોલીસથી બચવા માટે સતત પોતાના રહેઠાણો બદલ્યા હતા અને સામાન્ય નાગરિકોમાં ભળી જવા માટે બહુવિધ નકલી ઓળખ ધારણ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન અને ધરપકડ

બાતમી, વ્યૂહાત્મક દેખરેખ અને સખત ગ્રાઉન્ડવર્કનો ઉપયોગ કરીને, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટ્રેકિંગ ટીમે આખરે આ ફરાર આરોપીને ટ્રેસ કરી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે એક ચોક્કસ ઓપરેશન હાથ ધરીને તેના છુપાવાના સ્થળને ઘેરી લીધું હતું અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના તેને દબોચી લીધો હતો.

ઝડપાયેલા આરોપી સામે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે અને અદાલત દ્વારા નિર્ધારિત તેની મૂળ સજા (ફાંસી)ના અમલીકરણ માટે તેને ફરીથી ન્યાયિક કસ્ટડી હેઠળ જેલ હવાલે મોકલવામાં આવી રહ્યો છે.