Ahmedabad Seventh Day School Case: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સાથી વિદ્યાર્થી દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીની હત્યાના કેસમાં રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ શાળાનું મેનેજમેન્ટ સરકાર હસ્તક લેવાયું હતું. પરંતુ હવે સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલનું સંચાલન ફરી પાછું શાળાને સોંપવાનો નિર્ણય લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરતા શાળા દ્વારા કરાયેલી અપીલનો હાઈકોર્ટે નિકાલ કર્યો હતો.
તપાસ રિપોર્ટ શાળાને આપવા ભલામણ
રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટને માહિતી અપાઈ હતી કે, સેવન્થ ડે સ્કૂલનું મેનેજમેન્ટ લેવા અંગેનો હુકમ પાછો ખેંચવા બાબતે સરકારમાં ભલામણ કરવામાં આવી છે અને સંભવત: ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય લેવાઈ જશે, જેથી શાળાને ફરી સંચાલન મળી શકે છે. આમ, સરકાર દ્વારા સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પોતાને હસ્તક લીધાના ચાર મહિના બાદ પોતાનો નિર્ણય પાછો ખેંચવા અંગેના સંકેત મળી રહ્યા છે.
સરકાર તરફથી હાઈકોર્ટના ધ્યાન પર આ હકીકત મૂકતા વધુમાં જણાવાયું કે, શાળાનું સંચાલન તેના મેનેજમેન્ટને પરત કરવાની ભલામણ ઉપરાંત સમગ્ર મામલામાં તપાસ સમિતિનો અહેવાલ પણ શાળાના જવાબદાર અધિકારી સાથે શેર કરવાની ભલામણ કરવામાં આવી છે. જેથી સ્કૂલ આ સમગ્ર પ્રકરણમાં તપાસના તારણો અંગે ઔપચારિક સમજૂતી આપી શકશે.


