Get The App

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે 1 - image

આવતીકાલે વોર્ડ નં.૦૮થી ૧૩ માટે ઉમેદવારોની સેન્સ લેવાશે

જિલ્લા ભાજપ કાર્યાલયમાં આજે વોર્ડ નંબર ૦૧ થી ૦૭ માટે ચુંટણી લડવા ઈરછુક ઉમેદવારોની સેન્સ લેવાશે

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સૌ પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મહાનગર પાલિકાની ચુંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. જેને ધ્યાને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે જિલ્લા ભાજપ દ્વારા નમો કમલમ ખાતે બુધવારથી બે દિવસ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ દિવસે સવારે ૧૦.૦૦ વાગ્યા થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી વોર્ડ નંબર ૦૧થી ૦૭ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જયારે આવતીકાલે તા.૦૨ એપ્રિલના રોજ સવારના૧૦.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધી વોર્ડ નંબર ૦૮થી ૧૩ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પ્રદેશ કક્ષાના હોદેદારો દ્વારા બે દિવસ દરમિયાન તમામ ૧૩ વોર્ડ માટે ચુંટણી લડવા ઈરછુક સેન્સ લેવામાં આવશે અને પ્રાથમિક યાદી તૈયાર કર્યા બાદ પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે અને ચર્ચા વિચારણા બાદ ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. જ્યારે ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાને ધ્યાને લઈને ચૂંટણી લડવા ઈરછુક પુરુષ અને મહિલા ઉમેદવારોએ અત્યાર થી જ પોતાના ગોડ ફાધરો અને પ્રદેશ કક્ષાના હોદેદારોનો બંધ બારણે રૃબરૃ અથવા ટેલિફોનીક સંપર્ક શરૃ કરી દીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ની પ્રથમ ચુંટણીને ધ્યાને લઈ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે આગામી ચુંટણીમાં કોની જીત થશે અને કોની હાર તે આવનાર સમયમાં જ માલુમ પડશે.