Gujarat

સાબરકાંઠા અને અરવલ્લીમાં સિનિયર ડોકટરો રાજયવ્યાપી હડતાલમાં જોડાશે

By GS Team
13 Dec 20212 mins read
This article was originally published on 13 Dec 2021
સાબરકાંઠા અને અરવલ્લીમાં સિનિયર ડોકટરો રાજયવ્યાપી હડતાલમાં જોડાશે

તલોદ.તા.12

રાજ્યભરના સિનિયર ડોક્ટરની વર્ષોથી પડતર રહેલી માંગણીઓને સરકારે નહીં ઉકેલાતા આવતીકાલથી હડતાલ પર જવાનો નિર્ણય જાહેર કર્યો છે. તબીબોની માગણીઓ પ્રતિ ઉકેલ લાવવાની ખાતરી ૭ માસ પહેલા સરકારે આપી હતી. પરંતુ  તેનો કોઈ જ અમલ ન થતાં રાજ્યભરના તબીબોએ હડતાલ પર જવાનો નિર્ણય કરેલ છે. રાજ્યભરના આજથી હડતાલ માં જોડાનારા ૧૦૦૦૦ જેટલા સિનિયર ડોક્ટરમાં સાબરકાંઠા -અરવલ્લી જિલ્લાના તબીબો નો પણ સમાવેશ થાય છે. ડોક્ટરોની આ હડતાલથી દર્દીઓને હાલાકી નો સામનો કરવો પડશે.

 એડહોક સેટલમેન્ટ, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, મેડિકલ તબીબી અધ્યાપકો પ્રત્યેની કેટલીક બાબતે પરિવર્તન જાણવાની માગણી તબીબોની માગણી વર્ષોથી પડતર રહી છે.

  ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર ફોરમ નામના સંગઠનમાં સમાવિષ્ટ થયેલા તમામ સિનિયર ડોકટરો અને તાલીમ ડોક્ટરો આજે તા.૧૩/૧૨/૨૦૨૧ સોમવારથી હડતાલ ઉપર જશે. જેમાં આરોગ્ય અને તબીબી ભાગના વર્ગ-૧/૨ ના તબીબથી માંડીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અને તેવી તમામ જનરલ હોસ્પિટલ સહિતના તબીબો અને તબીબી અધ્યાપકો તથા આરોગ્ય ખાતા સાથે સંકળાયેલા તબીબ અધિકારીઓ પણનો સમાવેશ થાય છે. તબીબોની માંગણીઓ સંદર્ભે રાજ્યના પરિવાર કલ્યાણ વિભાગ અને સરકાર સાથે ગત તા.૧૬/૫/૨૦૨૧ના દિવસે તબીબોના સંગઠને ચર્ચા વિમર્શ કરીને રજૂઆતો કરી હતી . જે સંદર્ભે સરકારે આપેલા બે માસમાં ઉકેલ લાવવાની ખાતરીની બાહેધરીનો અમલ ૭ મહિના સુધી નહીં થતાં ખફા થયેલા તબીબોના સંગઠનના આદેશ અન્વયે તબીબોએ અંતે આજથી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે.    નોંધનીય છે કે , તબીબી અધ્યાપકો અને વર્ગ-૧ અને વર્ગ-૨ના આરોગ્ય સાથે સંકળાયેલા અધિકારીઓ પણ આ હડતાલમાં જોડાશે તેમ મનાય છે.

તબીબોના સંગઠનનું દાવો છે કે, સરકારનું સકારાત્મક અને હકારાત્મક વલણ હોવા છતાં સરકારે તબીબોને અન્યાય થાય તેવા  નકારાત્મક આદેશો કરતાં તબીબોને નુકસાન થવાની સંભાવનાને પગલે નછૂટકે આ આંદોલનનો માર્ગ લેવાની ફરજ પડી છે.