વેજલપુરમાં સરકારી જમીન ઉપરના ૫૦ રહેઠાણ,૧૦ કોમર્શિયલ બાંધકામ તોડાયા

અમદાવાદ,ગુરુવાર,23
ડીસેમ્બર,2021
અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ તથા બિલ્ડીંગ યુઝ પરમીશન
વગરના બાંધકામ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેજલપુરમાં બુધવારે સપાટો
બોલાવવામાં આવ્યો હતો.૯ હજાર ચોરસમીટર જમીન ઉપર બાંધવામાં આવેલા ૫૦ રહેણાંક અને ૧૦
કોમર્શિયલ બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યા હતા.શહેરમાં બિલ્ડીંગ
યુઝ પરમીશન વગરના ૪૦ યુનિટને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.વાસણામાં
આઠ કોમર્શિયલ યુનિટ તથા ચાંદખેડામાં ૨૨ રહેણાંક યુનિટ સીલ કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એસ્ટેટ વિભાગે દક્ષિણ-પશ્ચિમ
ઝોનના વેજલપુર વિસ્તારમાં જલદીપ આઈકોન તથા શિવાલય ફલેટની બાજુમાં આવેલી ૯ હજાર
ચોરસ મીટર જગ્યામાં બાંધવામાં આવેલા ૬૦ જેટલા રહેઠાણ અને કોમર્શિયલ યુનિટો પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને મજુરોની મદદથી
તોડી પાડયા હતા.અમલ મામલતદાર વેજલપુરની હાજરીમાં કરવામાં આવ્યો હતો.અમદાવાદમાં
બુધવારે ૧૨૯ યુનિટનું ૫૬૫૪૩ ચોરસફુટનું
ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ હતું.ગોતાના ત્રિદેવ કોમ્પલેકસના દસ
કોમર્શિયલ યુનિટ તોડી પાડવામાં આવ્યા હતા.શિલજ સર્કલ પાસે ૩૬૦૦ ચોરસફુટનો કોમર્શિયલ
શેડ તોડી પાડવામાં આવ્યો હતો.ચાંદલોડીયા ઓવરબ્રીજ નીચેના દબાણ દુર કરવા ઉપરાંત
વાસણા વિસ્તારમાં સિલ્વર ફલોરા અને સારાંશ અર્થના ૫૧ જેટલા કોમર્શિયલ શેડ તોડી
પાડવામાં આવ્યા હતા.
વાસણાના સ્વામિનારાયણ એવન્યુના આઠ કોમર્શિયલ યુનિટ ઉપરાંત
ચાંદખેડાના દેવપ્રિયા ફલેટના ૨૨ રહેણાંક સીલ કરવામાં આવ્યા હતા.આમ અત્યાર સુધીમાં
કુલ૨૧૭૮૪૭ ચોરસફુટનું બાંધકામ તોડવા ઉપરાંત ૫૬૭ કોમર્શિયલ અને ૩૬૦ રહેણાંક મળી કુલ
૯૨૭ યુનિટ સીલ કરવામાં આવ્યા છે.




