Gujarat

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ઝડપી ન્યાયની માંગણી: કપલ બોક્સ, સ્પા અને હુક્કાબાર બંધ કરાવવા સૌરાષ્ટ્ર પટેલ સમાજના આગેવાનની રજૂઆત

By GS Team
14 Feb 20222 mins read
This article was originally published on 14 Feb 2022
ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ઝડપી ન્યાયની માંગણી: કપલ બોક્સ, સ્પા અને હુક્કાબાર બંધ કરાવવા સૌરાષ્ટ્ર પટેલ સમાજના આગેવાનની રજૂઆત




- નો ડ્રગ ઇન સુરત સિટી ઝુંબેશને વધુ વેગવાન બનાવવા, અસામાજીક તત્વો વિરૂધ્ધ કડક પગલા ભરવા પોલીસ કમિશ્નર સમક્ષ માંગ

સુરત
કામરેજના પાસોદરા ખાતે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સરાજાહેર યુવતીનું ગળું કાપી કરપીણ હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ઘટનાને પગલે હચમચી ઉઠેલા સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોએ આજે પો. કમિશ્નર અજય તોમરને આવેદન પત્ર આપી શહેરમાં ધમધમતા કપલ બોક્સ, સ્મોકીંગ રૂમ, હુક્કાબાર અને સ્પાની આડમાં ચાલતા કૂટણખાના બંધ કરાવવાની માંગણી કરી હતી.
જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનીલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઇની નજર સામે સરાજાહેર ગળું કાપી હત્યા કરતા સુરત સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ ઘટનાથી સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોએ આજે પો. કમિશ્નર અજય તોમરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ગ્રીષ્માની હત્યાનો ઉલ્લેખ કરી પરિવારને ઝડપથી ન્યાય મળે તેવી માંગણી કરી હતી.


ઉપરાંત શહેરના નવા વિકસતા વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરંટની આડમાં ધમધમતા કપલ બોક્સ, સ્મોકીંગ રૂમ, હુક્કાબાર, સ્પા અને પાર્લરની આડમાં ચાલી રહેલા કૂટણખાના ગુનાહિત પ્રવૃત્તિના મોટા કેન્દ્ર હોવાનું અને તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત જાહેર રસ્તા પર અડીંગો જમાવતા અસામાજીક તત્વો, એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલું નો ડ્રગ ઇન સિટી ઝુંબેશ પુનઃ શરૂ કરી તમામ સમાજને આવરી લેવાની પણ માંગણી કરી હતી.

તમામ સમાજને સાથે જોડીને અભિયાન વધુ વેગવાન બનાવાશેઃ પોલીસ કમિશ્નર


પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સમાજના આગેવાનોની રજૂઆતની ગંભીર નોંધ લઇ નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાનને તમામ સમાજને સાથે જોડીને વધુ વેગવાન બનાવવામાં આવશે. બાળકો મોબાઇલ થકી પોર્નોગ્રાફી સહિતના મટીરીયલ્સને પગલે રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા કરતા અનિચ્છનીય અને ગુનાહિત પ્રવૃત્તિ તરફ દોરાય જાય છે. કપલ બોક્સ મુદ્દે છેલ્લા એક-દોઢ મહિનાથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સ્પા અને નશીલા પદાર્થનું વેચાણ કરનાર વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.