Gujarat

સચિન જીઆઇડીસી કેમિકલ દુર્ઘટનાકાંડ: સંગમ એન્વાયરોએ ડિસેમ્બરમાં સચિન બ્રિજ પાસે ખાડીમાં વધુ બે ટેન્કર ઠાલવ્યા હતા

By GS Team
20 Jan 20222 mins read
This article was originally published on 20 Jan 2022
સચિન જીઆઇડીસી કેમિકલ દુર્ઘટનાકાંડ: સંગમ એન્વાયરોએ ડિસેમ્બરમાં સચિન  બ્રિજ પાસે ખાડીમાં વધુ બે ટેન્કર ઠાલવ્યા હતા



- એક ટેન્કર હાઇકેલ કું. નું, બીજુ ઝઘડીયાની કેમિ ઓર્ગેનિક કેમિકલ ઇન્ડિયા પ્રા. લિ.નુંઃ અંકલેશ્વરથી પાઇલોટીંગ કરી સચિન GIDC સુધી લાવ્યા હતા
- ક્રાઇમ બ્રાંચે વધુ એક ફરીયાદ નોંધીઃ સાતવલ્લા બ્રિજ નજીક તિરૂપતી બાલાજી સોસાયટી પાસેથી પસાર થતી ખાડીમાં કેમિકલ ઠાલવી દીધુ હતું

સુરત
સચિન જીઆઇડીસી કેમિકલ દુર્ઘટનાકાંડની તપાસ અંતર્ગત સંગમ એન્વાયરો પ્રા. લિ. કંપનીના સંચાલકો દ્વારા ડિસેમ્બર મહિનામાં મુંબઇ-તળોજાની હાઇકેલ કંપની અને ભરૂચ-ઝઘડીયાની કેમિ ઓર્ગેનિક કેમિક્લ ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ભરેલા બે ટેન્કર સચિન જીઆઇડીસી સ્થિત સાતવલ્લા બ્રિજ નજીક તિરૂપતી બાલાજી સોસાયટી નજીક ખાડીમાં ઠાલવ્યા હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાંચે વધુ એક ફરીયાદ નોંધાવી છે.
સુરત ક્રાઇમ બ્રાંચ દ્વારા સચિન જીઆઇડીસીના કેમિકલ દુર્ઘટનાકાંડની તપાસ અંતર્ગત સંગમ એન્વાયરો પ્રા. લિ. ના ભાગીદાર આશિષ દુધનાથ ગુપ્તા, મૈત્રેય સન્મુખ વૈરાગી, નિલેશ પીતાંબર બહેરા ઉપરાંત સચિનના સ્થાનિક ટ્રાન્સપોર્ટર પ્રેમસાગર ઓમપ્રકાશ ગુપ્તા, ટેન્કર ચાલક સુરેન્દ્ર જીતેન્દ્ર સીંગ ઉપરાંત જયપ્રતાપ રામકિશોર તોમર, વિશાલ અનિલ યાદવ, અભય સુરેશ દાંડેકર અને સ્થાનિક બે કંપનીના માલિક વિજય ધીરૂ ડોબરીયા, સૌરવ પ્રવિણ ગાબાણીની પૂછપરછ હાથ ધરી હતી.


જેમાં સંગમ એન્વાયરો કંપનીના ભાગીદારોએ 17 ડિસેમ્બરે શ્રી કૈલાશ ટ્રાન્સપોર્ટના ટેન્કર નં. એમએચ-04 એચવાય-6377 માં મુંબઇ-તળોજાના હાઇકેલ કંપનીમાંથી સોડિયમ હાઇડ્રો સલ્ફાઇડ નામનું 25,910 કિલોગ્રામ કેમિકલ વેસ્ટ ભરીને અંકલેશ્વર લાવ્યા હતા. જયાંથી જયપ્રતાપ અને વિશાલની સાથે પ્રેમસાગર ઇકો કારમાં પાયલોટીંગ કરી સચિન જીઆઇડીસી સ્થિત સાતવલ્લા બ્રિજ નજીક ખાડીમાં ઠાલવ્યાની કબૂલાત કરી છે.


આ ઉપરાંત 23 ડિસેમ્બરે ભરૂચના ઝઘડીયા સ્થિત કેમિ ઓર્ગેનિક કેમિકલ ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાંથી ટેન્કર નં. જીજે-6 ઝેડઝેડ-6221 માં સોડિયમ થાયો સેલ્ફેટ નામનું કેમિકલ 28.92 મેટ્રીક ટન જથ્થો પાઇલોટીંગ કરીને સાતવલ્લા પુલ નજીક તિરૂપતી સોસાયટી નજીક ખાડીમાં ઠાલવ્યાની કબૂલાત કરી છે. જેને પગલે આશિષ, મૈત્રેય, નિલેષ પ્રેમસાગર, જયપ્રતાપ, વિશાલ, પ્રેમસાગર, સુરેન્દ્ર અને બબલુ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. જયારે આ કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે.