Get The App

આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ: સાબરકાંઠાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ: સાબરકાંઠાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી 1 - image

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામમાં અનુસૂચિત સમાજના લોકો સાથે ભેદભાવ અને ઉત્પીડનના ગંભીર આરોપો થયા છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં, હવે પીડિતોએ ગામ છોડીને હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે આજે હિંમતનગર ખાતે જિલ્લા કચેરીમાં નિવાસી અધિક કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે.

ગામમાં ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ

રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોનો દાવો છે કે ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને ભારતીય બંધારણથી મળેલા મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સામાજિક, આર્થિક, ધાર્મિક તેમજ ન્યાયિક સ્તરે તેમની સાથે સતત ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. પીડિત સમાજના દાવા મુજબ આ મામલે અત્યાર સુધીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ છ જેટલી ફરિયાદો અને અનેક લેખિત રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ આ વિવાદમાં સમાધાનના પ્રયાસો થયા હતા, પરંતુ તેનું પાલન ન થતાં ગામમાં ફરીથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.

આઝાદીના વર્ષો બાદ પણ ભેદભાવનું દૂષણ: સાબરકાંઠાના રૂપાલ ગામના અનુસૂચિત સમાજના લોકોની હિજરતની ચીમકી 2 - image

સામૂહિક હિજરત કરવા મજબૂર, 7 દિવસનું અલ્ટિમેટમ

સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ વારંવાર ન્યાયની ગુહાર લગાવવા છતાં કોઈ નક્કર નિરાકરણ ન આવતા, હાલ ગામમાં તેમનો સામાજિક બહિષ્કાર કરાયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ આક્રોશ વચ્ચે આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને ચીમકી આપવામાં આવી છે કે, જો આગામી સાત દિવસમાં આ સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે, તો અનુસૂચિત સમાજના પરિવારો સામૂહિક હિજરત કરવા મજબૂર બનશે.

આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં બનશે ભારતની પહેલી અંડરસી ટનલ

અસામાજિક તત્વો સામે કડક પગલાં કેમ નહીં?

આ સમગ્ર ઘટના લોકશાહી અને કાયદાના શાસન સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. આઝાદીના દાયકાઓ પછી પણ જો કોઈ સમાજને બંધારણીય હકો માટે સંઘર્ષ કરવો પડતો હોય, તો આપણી સામાજિક વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે? એટ્રોસિટી એક્ટ હેઠળ છ-છ ફરિયાદો નોંધાઈ હોવા છતાં પીડિતોને સુરક્ષા કે ન્યાય કેમ ન મળ્યો? શું વહીવટી તંત્ર અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? સૌથી મોટો સવાલ એ કે, શું 21મી સદીના ગુજરાતમાં ગામ રહેતો એક આખો સમાજ ન્યાયના અભાવે પોતાના જ ગામમાંથી હિજરત કરવા મજબૂર બને તે વહીવટી તંત્ર માટે શરમજનક બાબત નથી?