Get The App

બોટાદમાં કુંવરબાઈનુ મામેરુ યોજનામાંથી રૂપિયા 24.48 લાખની ઉચાપત થઈ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
બોટાદમાં કુંવરબાઈનુ મામેરુ યોજનામાંથી રૂપિયા 24.48 લાખની ઉચાપત થઈ 1 - image

- લાભાર્થીઓના બેંક ખાતા બદલી નાખ્યા

- આઉટ સોસગથી ફરજ બજાવતા નિરીક્ષકે તરકટ રચી લાખ રૂપિયા ઘરભેગા કર્યા

ભાવનગર : બોટાદ જિલ્લા સેવાસદનમાં આવેલા સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં આઉટ સોર્સથી ફરજ બજાવતા નિરીક્ષકે કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થીઓના રૂપિયા પોતાના અને પોતાના પરિવારના બેંક ખાતામાં નાખવી રૂ.૨૪.૪૮ લાખની ઉચાપત કરી હતી.

બોટાદના આનંદધામ રેસીડેન્સી ખાતે રહેતા અને બોટાદ જીલ્લા સેવા સદનમા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી) બોટાદ તરીકે ફરજ બજાવતા કેતનભાઈ મનુભાઈ વાકાણીએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, અત્રેની કચેરીમાં આઉટ સોર્સથી સમાજ કલ્યાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષ કાનજીભાઈ પરમારએ કુંવરબાઈનુ મામેરુ યોજનાના એક લાભાર્થી ધુ્રવીશાબેનની અરજીમાં ધુ્રવિશાબેને જે બેંક ખાતા નંબર લખેલો હતો. તેની જગ્યાએ બીજો બેંકખાતા નંબર નાખીને લાભની રકમ રૂપીયા ૧૨,૦૦૦ મેળવી લીધેલ હતી અને શૈલેષ કાનજીભાઈ પરમારએ તા.૦૧/૦૭/૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૨૦૪ જેટલા લાભાર્થી રૂપીયા ૧૨,૦૦૦ની રકમ લેખે કુલ રૂ. ૨૪,૪૮,૦૦૦ જેટલી માતબર રકમ તેમના તથા તેમના પરીવારના તથા અન્ય બેંક ખાતાઓમાં નાખી નાણાકિય ગેરરીતી આચરીને સરકારના નાણાની ઉચાપત કરી હોવાનું સામે આવતા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી) બોટાદના કેતનભાઈએ શૈલેષ વિરૂધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તપાસ દરમિયાન ઉચાપતની ભાંડો ફૂટયો

ગઈ તા. ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ કુંવરબાઈનુ મામેરુ યોજનાના લાભાર્થી ધુ્રવિતાબેન વિમલભાઈ ભાવનગરીયા (રહે.ટાટમ) એ અરજી કરેલ હોય અને હજુ સુધી લાભ નહીં મળતા વાડી કચેરી દ્વારા તપાસના આદેશ છૂટતા હતા. જેની તપાસ દરમિયાન સમગ્ર ઉચાપતનો ભાંડો ફૂટયો હતો.