VIDEO | છોટાઉદેપુરમાં હારનો બદલો? 'ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે', ધમોડીના ગ્રામજનોમાં ફફડાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ્યાં કેટલાક ઉમેદવારોમાં ખુશીની લહેર ફેલાઈ છે, ત્યાં કેટલાક ઉમેદવારોની હાર બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે. જેમાં છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર અશોક રાઠવા અને આમ આદમી પાર્ટીના સુખરામ રાઠવા વચ્ચે થયેલી જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ હવે વિવાદ ઉગ્ર બન્યો છે. જેમાં અશોક રાઠવાની હાર બાદ તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. ધમોડી ગામ ખાતે તાજેતરમાં બનાવેલો રોડ તોડી પાડવાનો મામલો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.
ભાજપના ઉમેદવારની હાર બાદ સમર્થકોના આક્રોશથી સ્થાનિકો ભયભીત
છોટાઉદેપુર જિલ્લાના ધમોડી ગામમાં ચૂંટણીના પરિણામ બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. ભાજપના ઉમેદવાર અશોક રાઠવાની હાર બાદ તેમના સમર્થકોમાં અસંતોષ ફેલાયો છે. ગામ લોકોનું કહેવું છે, કે આ અસંતોષ હવે ગુસ્સામાં બદલાઈ ગયો છે અને તેનો આક્રોશ ગામના સામાન્ય નાગરિકો પર ઉતારવામાં આવી રહ્યો છે. હાલ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો ખુલ્લેઆમ કંઈ બોલતા પણ ડરી રહ્યા છે. લોકો ભયભીત થતાં જીતેલા ઉમેદવાર સુખરામ રાઠવા ગામમાં પહોંચ્યા હતા. લોકોએ ગામના લોકોએ સ્થિતિનું વર્ણન કર્યું હતું. સુખરામ રાઠવાએ લોકો સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.
ધમોડીમાં રોડ તોડી પાડવાનો મામલો
ગામ લોકોના જણાવ્યા અનુસાર, પરિણામ બાદ કેટલાક લોકો JCB મશીન અને હાથમાં દંડા લઈને ગામમાં આવ્યા હતા. તેમણે તાજેતરમાં બનાવવામાં આવેલા આર.સી. રોડને વચ્ચેથી તોડી નાખ્યો હતો. આ રોડ સ્કૂલ અને એક ફળિયાને બીજા ફળિયા સાથે જોડતો મહત્ત્વનો માર્ગ છે, જેને નુકસાન પહોંચાડાતા લોકો માટે આવન-જાવન કરવા મુશ્કેલ બની ગયું છે. ઘટનાને પગલે લોકો ભયભીત થયા હતા, જેથી કોઈએ તેનો વિરોધ પણ કર્યો ન હતો. માત્ર રસ્તો જ નહીં, પરંતુ રસ્તાની બાજુમાં આવેલા એક મકાનના ઓટલાને પણ તોડી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
તંત્ર પાસે ન્યાય અને સુરક્ષાની સ્થાનિકોની માગ
ગામલોકોનું કહેવું છે કે, આ બનાવથી તેમની રોજિંદી જિંદગી પર અસર પડી છે. હાલ તેઓ તંત્ર પાસે ન્યાય અને સુરક્ષાની માગ કરી રહ્યા છે. સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ ગામમાં દહેશતનો માહોલ છવાયો છે.
આ મામલે ભાજપના તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે, પારિવારિક કારણ હોઈ શકે છે. જે આક્ષેપ લાગવામાં આવ્યા છે, તે પાયા વિહોણા છે.








