Vadodara : વડોદરા શહેરના વોર્ડ નં.1માં તાજેતરમાં બનાવવામાં આવેલા રોડમાં ગેરરીતિ થયાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાઉન્સિલરે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ગરીબ નવાજપાર્કથી લોક્શેડવાળા રસ્તા મારફતે કલાસવા નાળા સુધી લાખો રૂપિયાના ખર્ચે રોડનું કામ કરાયું હતું.
કાઉન્સિલરના જણાવ્યા મુજબ થોડા સમય અગાઉ જ આ રોડનું કામ પૂર્ણ થયું હોવા છતાં રોડની હાલત જોઈને જ તેની ગુણવત્તા અંગે શંકા ઊભી થાય છે. આ રોડનું કામ કરનાર ઇજારદાર રાજ કન્સ્ટ્રક્શન દ્વારા કાર્પેટ સીલકોટ સહિતની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કાર્પેટ માટે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાની શક્યતા દેખાઈ રહી છે.
રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે તાજેતરમાં બનાવવામાં આવેલ કાર્પેટ રોડ ઉનાળાની સીઝન શરૂ થાય તે પહેલાં જ રોડ પર પાથરાયેલ ડામર પીગળવા લાગ્યું છે અને અનેક જગ્યાએ તૂટી પણ ગયું છે. જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. રોડનું લેવલ પણ યોગ્ય રીતે બનાવવામાં આવ્યું નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કાઉન્સિલરે જણાવ્યું છે કે હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે રોડ ટૂંકા સમયમાં જ ખરાબ થવા લાગ્યો છે અને ઉનાળાની સીઝનમાં આ રોડ વધુ ઓગળી જવાની શક્યતા છે, જેના કારણે લોકો માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. આથી આ રોડ સહિત વોર્ડ નં.1માં રાજ કન્સ્ટ્રક્શન દ્વારા બનાવાયેલા અન્ય રસ્તાઓની વિજિલન્સ તપાસ કરાવવામાં આવે તેમજ જવાબદાર ઇજારદાર સામે યોગ્ય પગલાં લેવાય અને બાકી રહેલું ચુકવણું અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું છે.


