Gujarat

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝીટીવ, હળવા લક્ષણો હોવાથી ઘરે જ આઈસોલેટ થયા

By GS Team
21 Jan 20222 mins read
This article was originally published on 21 Jan 2022
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝીટીવ, હળવા લક્ષણો હોવાથી ઘરે જ આઈસોલેટ થયા

ગાંધીનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર

મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદી પહેલી વખત કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેઓ હોમ આઇસોલેટ થયા છે. સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બાળકો, ડોકટરો, પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં કોરોના સાંપડી રહ્યો છે. 

ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા

ગુજરાતમા કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે, જે દરરોજના કેસ પરથી ભયજનક જોવા મળી રહી છે. દરરોજ કોરોનાના કેસ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 24,485 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10,310 લોકોએ કોરોનાને માત આપી છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10199 લોકોના મૃત્યુ થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો છે.

અગાઉ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓ થોડા દિવસ હોમ આઈસોલેટ થયા હતા પછી કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેઓ કામ પર પરત ફર્યા છે. આ સિવાય પણ ગુજરાતના ઘણા નેતાઓ અને ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.