આજે મ્યુનિ.કમિશ્નર અને સ્થાયી સમિતિના અધ્યક્ષએ શહેરની ઐતિહાસિક ધરોહર માંડવીની મુલાકાત લીધી હતી. શહેરની વારસાગત ઇમારતો જળવાઈ રહે તે હેતુથી મ્યુનિ. કોર્પોરેશનમાં હેરીટેજ સેલ રચાઈ છે.
મ્યુનિ.કમિશ્નર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, માંડવી ગેટનું પુનઃસ્થાપન તેની ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે તે રીતે કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી સાથે વિષય નિષ્ણાંતોની કમિટી રચી માર્ગદર્શન લેવામાં આવશે તેમજ નાગરિકોના અભિપ્રાયો પણ ધ્યાનમાં લેવાશે. માંડવી ગેટ બાદ પાણીગેટ, ન્યાયમંદિર સહિતની અન્ય ઐતિહાસિક ઇમારતોના રિસ્ટોરેશનની પ્રક્રિયા હાથ ધરાશે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, ૧૬મી સદીના ઈન્ડો-મોગલ સ્થાપત્યમાં નિર્મિત આ દરવાજાને ગાયકવાડ વંશે ઉપરના બેમાળ અને ક્લોક ટાવર ઉમેર્યા હતા. વાતાવરણ અને ધ્વનિ પ્રદૂષણના પ્રભાવથી દરવાજામાં ભંગાણ અને સ્ટ્રકચરલ ક્ષતિ સર્જાઈ હતી. હેરિટેજ કન્ઝર્વેશન નિષ્ણાંતો અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહથી અંદાજિત રૂ.પાંચ કરોડના ખર્ચે કાર્ય શરૂ થયું છે. એજન્સી દ્વારા દસ વર્ષની ડી.એલ.પી. આપવાની રહેશે અને ૨૭મહિનામાં કામ પૂર્ણ કરાશે. ઓરિજિનલ લુક જળવાઈ રહે તે માટે જૂના સમયના મટીરીયલનો ઉપયોગ તથા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અનિવાર્ય રહેશે.


