અત્રે ગોત્રીમાં આવેલા વૃંદાવનનગર ખાતે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલા નવા શાક માર્કેટની કામગીરી સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં એકા થયેલા રહીશોએ કામગીરી સ્થળે પહોંચી સૂત્રોચ્ચાર કરી મ્યુનિ.કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી છે.
આજે બપોરે વૃંદાવનનગર પાસે આવેલા મ્યુનિ. કોર્પોરેશનના પ્લોટમાં નવા શાક માર્કેટનું બાંધકામ શરૂ કરાતા સ્થાનિક રહીશોએ વિરોધ કરીને કામગીરી રોકાવી છે.
રહીશોનું કહેવું છે કે શાક માર્કેટ શરૂ થતાં બહારના લોકોની અવરજવર વધશે, જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઊભી થશે. પ્લોટનું ક્ષેત્રફળ નાનું હોવાથી વેપારીઓ અને ગ્રાહકોના વાહનો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા શક્ય નહીં બને, જેના કારણે સ્થાનિકોને રોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
વધુમાં ઉમેર્યું કે વર્ષોથી આ જગ્યા પર સોસાયટીના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા આવ્યા છે. અગાઉ અનેક વખત આ પ્લોટમાં જાહેર બગીચો બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન સમક્ષ રજૂઆતો કરાઈ છે, તેથી શાક માર્કેટના બદલે અહીં બગીચાનું નિર્માણ કરવામાં આવે તેવી માગ છે.


