Vadodara : વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યાને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ યાકુતપુરાના મદાર મોહલ્લામાં છેલ્લા 8 વર્ષથી ગટરમિશ્રિત દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાની ફરિયાદ સાથે રહીશોનો મોરચો મ્યુનિ. કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો.
રહીશોનું કહેવું છે કે, દૂષિત પાણી અંગે વારંવાર જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નવી પાણીની લાઈન નાખવામાં આવી છે, પરંતુ તે હજી સુધી કાર્યરત કરવામાં આવી નથી. પરિણામે હજુ પણ જૂની લાઈનમાંથી પાણી વિતરણ થતા આશરે 3 હજારથી વધુ લોકો પરેશાન બની રહ્યા છે.
આ મુદ્દે રહીશોએ પાણી પુરવઠા વિભાગના અધિકારી સમક્ષ નારાજગી વ્યક્ત કરી અને લેખિત રજૂઆત કરી હતી. આગેવાનનું કહેવું છે કે, આગામી તા.18 થી પવિત્ર રમઝાન મહિનો શરૂ થવાનો હોવાથી વહેલી તકે નવી પાણીની લાઈન શરૂ કરવામાં આવે તો દૂષિત પાણીની સમસ્યાથી છુટકારો મળી શકે.
આ અંગે મ્યુનિ. અધિકારીએ સ્થળ પર વિઝિટ કરીને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી છે.


