Get The App

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે 1 - image

પાણીની લીકેજ લાઇનથી 'તળાવ કાંઠે તરસ્યા' જેવી સ્થિતિ

કોન્ટ્રાક્ટરે પૂરતી ઊંડાઇએ પાણીની લાઇન નહીં નાખતા શહેરમાં ઠેર-ઠેર લીકેજની સમસ્યા ઃ બે કરોડ પાણીમાં ગયા

લખતરલખતર ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા અંદાજે રૃ. ૨ કરોડના ખર્ચે ૪૦ કિલોમીટર લાંબી નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. જોકે, નિયમ મુજબ પાઇપલાઇન પૂરતી ઊંડાઈએ નાખવાના બદલે ઉપરછલ્લી નાખી દેવામાં આવતા અત્યારે ગામના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર લીકેજની સમસ્યા સર્જાઈ છે.

લીકેજ લાઇનથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ મફતિયાપરા અને ભૈરવપરા જેવા વિસ્તારોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ૧૨,૦૦૦થી વધુની વસ્તી ધરાવતા લખતરમાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાઇપલાઇનના સમારકામ કે યોગ્ય આયોજનમાં કોઈ રસ દાખવવામાં આવ્યો નથી. રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ૫ માર્ચ, ૨૦૨૬ના રોજ ઉગમણા દરવાજાથી તાલુકા પંચાયત સુધી ઢોલ-નગારા સાથે વિરોધ રેલી કાઢવામાં આવશે. આ આંદોલનને વેગ આપવા માટે લખતરના ગાંધી ચોકમાં એક મોટું બોર્ડ લગાવી તમામ અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને રેલીમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે આ મામલે સરકાર કેવા પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.